આઇપીએલ 2026ને લઈને ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે આઇપીએલને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન આઈપીએલ ક્યારે શરૂૂ થશે તેને લઈને જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રસારણકર્તાએ જણાવ્યું કે આઈપીએલ 2026ની શરૂૂઆત 28 માર્ચથી થશે. જો કે હજુ સુધી આઈપીએલ દ્વારા કોઈ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થઈ નથી.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે જેના કારણે આઈપીએલના કાર્યક્રમની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જે ત્રણ રાજ્યોમાં આઈપીએલ મેચ રમાવાની છે તેની વિધાનસભા ચુંટણીની તારીખોની જાહેરાત હજુ થઈ નથી. તેમાં અસમ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સામેલ છે.
કોલકાતા (પશ્ચિમ બંગાળ) અને ચેન્નઈ (તમિલનાડુ)માં ક્રમશ: કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનું ઘરેલું મેદાન છે, જ્યારે ગુવાહાટી રાજસ્થાનનું બીજુ હોમગ્રાઉન્ડ છે. પ્રસારણકર્તાએ હવે તારીખોની જાહેરાત કરી દીધી છે, પરંતુ કાર્યક્રમ માટે હજુ રાહ જોવી પડશે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી થોડા દિવસોમાં શેડ્યૂલ જાહેર થઈ શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ 2025માં પંજાબ કિંગ્સને હરાવીને પ્રથમ વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આરસીબીની ટીમ આ વખતે ખિતાબ બચાવવા મેદાને ઉતરશે. આરસીબીના ફેન્સ માટે રાહતની વાત એ છે કે ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાના પાંચ મેચ ઘરઆંગણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ રમશે. આ માટે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન તરફથી મંજૂરી મળી ચૂકી છે.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ વેંકટેશ પ્રસાદે જણાવ્યું હતું કે આઈપીએલ 2026ની ઉદ્ઘાટન મેચ અને ફાઈનલ મેચ બંને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ રમાશે. એટલું જ નહીં, બેંગ્લોરનું આ સ્ટેડિયમ એક પ્લેઓફ મેચની પણ મેજબાની કરશે. આરસીબીના ગ્રુપ સ્ટેજના પાંચ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે, જ્યારે ટીમના હોમ ફોર્મેટના બાકીના બે મુકાબલા રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે.
