કાલે સેમિફાઇનલમાં ભારત શ્રીલંકાને અને પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવે તો રવિવારે જંગ નક્કી
ક્રિકેટ ચાહકો માટે રોમાંચક સમાચાર છે. U19 Asia Cup 2025 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટની ચારેય સેમીફાઈનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. ગ્રુપ સ્ટેજમાં પોતાના શાનદાર પ્રદર્શનથી હેટ્રિક જીત મેળવનારી ભારતીય ટીમ હવે સેમીફાઈનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો નહીં કરે. ભારતીય ટીમનો મુકાબલો હવે શ્રીલંકા સામે થશે, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશ સામે ટકરાવું પડશે.
યુવા ખેલાડીઓના જોશથી ભરેલા Under-19 Asia Cupમાં ભારતીય ટીમનું પ્રદર્શન કાબિલેદાદ રહ્યું છે. ભારતે લીગ સ્ટેજમાં UAE, મલેશિયા અને કટ્ટર હરીફ પાકિસ્તાનને ધૂળ ચટાડીને ગ્રુપ-અ માં ટોપર તરીકે સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતીય ટીમ અત્યારે અજેય છે અને ટાઈટલ જીતવાથી માત્ર બે કદમ દૂર છે. બીજી તરફ, પાકિસ્તાન ભલે ભારત સામે હારી ગયું હોય, પરંતુ અન્ય બે મેચ જીતીને તે ગ્રુપ-એ માં બીજા સ્થાને રહ્યું છે.
ગ્રુપ-બી માં બાંગ્લાદેશ અને શ્રીલંકા એ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવી દીધું હતું. આ જીત સાથે બાંગ્લાદેશ ગ્રુપ-ઇ માં ટોપર બન્યું છે, જ્યારે શ્રીલંકા બીજા ક્રમે રહ્યું છે. નેપાળ, અફઘાનિસ્તાન, UAE અને મલેશિયાની સફર અહીં જ પૂરી થઈ ગઈ છે.
હવે ચાહકોના મનમાં સવાલ એ છે કે સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાન કેમ નથી રમી રહ્યા? નિયમ મુજબ, એક જ ગ્રુપની બે ટીમો સેમીફાઈનલમાં સામસામે આવતી નથી. ગ્રુપ-એ ની ટોપર ટીમ (ભારત) નો મુકાબલો ગ્રુપ-બીની બીજા નંબરની ટીમ (શ્રીલંકા) સાથે થશે. જ્યારે ગ્રુપ-એની રનર-અપ ટીમ (પાકિસ્તાન) ગ્રુપ-બીની ટોપર ટીમ (બાંગ્લાદેશ) સામે રમશે.
આમ, India vs Sri Lanka અને પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચેની બંને સેમીફાઈનલ મેચો 19 ડિસેમ્બર ના રોજ રમાશે. આ મેચોમાં જે પણ ટીમ જીતશે તે 21 ડિસેમ્બર ના રોજ યોજાનારી ગ્રાન્ડ ફાઈનલમાં પ્રવેશ કરશે.
ભલે સેમીફાઈનલમાં India vs Pakistan મેચ નથી, પરંતુ ફાઈનલમાં આ બ્લોકબસ્ટર મુકાબલો થવાની પૂરેપૂરી શક્યતા છે. જો સેમીફાઈનલમાં ભારત શ્રીલંકાને હરાવે અને પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવવામાં સફળ રહે, તો એશિયા કપની ફાઈનલમાં ફરી એકવાર બે કટ્ટર હરીફો આમને-સામને આવી શકે છે. ભારતીય ટીમ જે ફોર્મમાં છે તે જોતા ચાહકોને આશા છે કે યંગ ઈન્ડિયા ફરી એકવાર ચેમ્પિયન બનશે.
