ગુજરાતની વેપારી રાજધાની સુરતમાં આવકવેરા વિભાગે એક વાર ફરી મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. આજે સુરત અને નવસારીમાં આવકવેરા અધિકારીઓની ટીમોએ મોટા બિઝનેસ ગ્રુપ્સ અને તેમના સંબંધિત પ્રોજેક્ટ્સની તલાશી શરૂૂ કરી છે. આ કાર્યવાહીમાં નવસારીમાં અપેરા ગ્રુપ અને પ્રોપર્ટી બ્રોકર આગમ વાડેચાની ઓફિસો તેમજ તેના સંબંધિત અનેક સ્થાનો પર છાપા મારવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગની ટીમોએ વહેલી સવારથી જ આ કાર્યવાહી શરૂૂ કરી હતી. સુરતના મોટા વેપારીઓ અને બિઝનેસ હાઉસીસના અકાઉન્ટ્સની તપાસ ચાલી રહી છે. વિભાગના અધિકારીઓએ મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને રેકોર્ડ્સ જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં મુખ્યત્વે મોટા પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા વેપારીઓ સામે તપાસ થઈ રહી છે જેમાં અન-અકાઉન્ટેડ વ્યવહારો અને બેનામી ડીલ્સની તપાસ થવાની શક્યતા છે.
આ રેડ હજુ ચાલુ છે અને વધુ સ્થળો પર તલાશી લેવામાં આવી રહી છે. સુરતના બિઝનેસ સર્કલમાં આ સમાચારથી ભારે હલચલ મચી ગઈ છે. ઘણા વેપારીઓએ આ કાર્યવાહીને વેપારી વર્ગ પર દબાણ તરીકે જોઈ રહ્યા છે. આવકવેરા વિભાગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી, પરંતુ સૂત્રોના કહેવા મુજબ આ તપાસમાં મોટા પ્રમાણમાં અનધિકૃત વ્યવહારો સામે પુરાવા મળવાની શક્યતા છે.
આ પહેલાં પણ સુરતમાં આવકવેરા વિભાગે અનેક વખત મોટા વેપારીઓ અને જ્વેલરી બિઝનેસ પર રેડ મારી હતી અને કરોડો રૂૂપિયાના અનધિકૃત વ્યવહારો બહાર આવ્યા હતા. હાલની આ કાર્યવાહી પણ તે જ દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. વેપારી સંગઠનો હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ આ કાર્યવાહીથી સુરતના ડાયમંડ, ટેક્સટાઈલ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચર્ચાનો માહોલ છે. આવકવેરા વિભાગની આ તલાશી હજુ ચાલુ છે અને તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે.
