ચોટીલામાં વૃધ્ધે બીમારીથી કંટાળી જવલનશીલ પ્રવાહી પીધું
ચોટીલાના મોટી મોલડી ગામે હલણના પ્રશ્ર્ને કાકા ઉપર ભત્રીજાએ ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતાં રમેશભાઈ રામભાઈ ડાભી (ઉ.52) સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતા ત્યારે ભત્રીજા અનિલ મનસુખ ડાભીએ ઝઘડો કરી ધારીયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક તપાસમાં કાકા-ભત્રીજા વચ્ચે હલણના પ્રશ્ર્ને ચાલતા ઝઘડાનો ખાર રાખી ભત્રીજાએ કાકા ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત બીજા બનાવમાં ચોટીલામાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતાં અરવિંદભાઈ મુળજીભાઈ ચાવડા નામના 65 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતાં ત્યારે બિમારીથી કંટાળી જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. વૃધ્ધને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
