શહેરમાં રૈયાધાર વિસ્તારમાં દારૂના નશામાં 10 વર્ષના પુત્રને માર મારતાં શખ્સને માતા-પિતા સમજાવવા વચ્ચે પડતાં નશેડીએ બાળકના માતા-પિતાને માર માર્યો હતો. જેમાં યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, રૈયાધાર વિસ્તારમાં 12 માળીયા કવાર્ટરમાં રહેતાં ભુપતભાઈ ઉમેશભાઈ પરમાર (ઉ.40) પોતાના ઘર પાસે હતાં ત્યારે સુનિલ ધામેલીયાએ ઝઘડો કરી ઈંટ પથ્થર વડે માર માર્યો હતો. ભૂપતભાઈ પરમારને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સ ઈજાગ્રસ્ત યુવકના 10 વર્ષના પુત્રને દારૂના નશામાં ફડાકા મારતો હતો ત્યારે તેને સમજાવતાં નશાખોર શખ્સે 10 વર્ષના બાળકના માતા-પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મેટોડામાં રહેતો નિતીન રમેશભાઈ સાગઠીયા નામનો 23 વર્ષનો યુવાન મેળામાંથી રાત્રીનાં સમયે ઘરે પરત ફરતો હતો ત્યારે મેટોડા ગેઈટ નં.2 પાસે ચા-નાસ્તો કરવા ઉભો રહ્યો હતો. તે દરમિયાન હાથ અડી જવા મુદ્દે ટગો ઉર્ફે ગૌતમ અને નાનો ઉર્ફે ઉમેશ સહિતના શખ્સોએ ઝઘડો કરી પ્લાસ્ટીકના પાઈપ વડે માર માર્યો હતો અને બાઈકના ગરમ સાયલન્સર સાથે યુવકનો પગ અડાળી ડામ દીધો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
