નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા અજયભાઇ ઉર્ફે સંજય ઉર્ફે ટકો વાધજીભાઇ રોજાસરા(ઉ.વ.32)ની અમુક કુટેવોને લઇ પત્ની દક્ષાબેન સાથે ઝઘડો થયો હતો.જે મામલે બીજા દિવસે સંજયને તેમના માતાએ ઘરે બોલાવતા તેની પર પત્ની દક્ષાબેન,ભાઈ મનસુખભાઈ વાઘજીભાઈ ,ભત્રીજો પંકજ મનસુખભાઈ અને બીજો ભાઈ છગનભાઈએ માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
અજય ઉર્ફે સંજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલ તા.27/09ના રોજ રાત્રિના હું તથા મારા પત્ની તથા મારો દીકરો જીત એમ અમો ઘરે હતા તે દરમ્યાન પત્ની મારી સાથે મારી અમુક કુટેવોને હિસાબે બોલાચાલી કરવા લાગેલ હતી અને આવી બોલાચાલી અમારા વચ્ચે અવારનવાર થતી રહેતી હોય જેથી બીજા દિવસે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં હું આણંદપર નવાગામ પુલ પાસે આવેલ બાબુ ચુનાની ફેક્ટરીની બાજુમાં હતો ત્યારે મારા મમ્મીનો ફોન આવેલ અને મને હું તારા ઘરે છું ઘરે આવ જે કહી વાત કરી હતી.જેથી હું મારા ઘર પાસે શેરીમાં પહોંચેલ ત્યારે મમ્મી તથા પત્ની ત્યાં શેરીમાં ઉભેલ હોય અને મને ગઈકાલ રાત્રિના થયેલ બોલાચાલી બાબતે વાતચીત કરતા હોય અને અમને બંને પતિ પત્નીને સમજાવતા હતા.
આ દરમ્યાન મારી પત્ની ઉશ્કેરાઇ મને ફડાકા મારવા લાગેલ અને તુરંત ભત્રીજા પંકજને ફોન કરી બોલાવેલ અને પંકજ તથા મોટાભાઈ મનસુખભાઈ બંને ત્યાં શેરીમાં આવતા મારી તથા મારા પત્ની વચ્ચે થતી બોલાચાલી જોઈ પંકજ એટલામાં ક્યાંકથી પાઇપ લાવી મને ગાળો આપવા લાગે અને મેં તેને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઇ જઈ મને શરીરે જમણા હાથના કોણીના ભાગે તથા ખંભાના ભાગે તથા બંને પગના ગોઠણથી નીચેના ભાગે પાઇપ વડે માર મારવા લાગેલ હતો અને આ દરમ્યાન મનસુખભાઈ મને શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલા હતા આમ શેરીમાં દેકારો થતા મારો નાનો ભાઈ છગન ત્યાં સામે પોતાના મકાનમાંથી બહાર આવી મને આ લોકો સાથે મળી ઢીકા પાટુનો માર મારવા લાગ્યો હતો.આ મામલે હોસ્પિટલમાં સારવાર લઇ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
