જસદણ તાલુકાના જંગવડ ગામે એક પરિણીતા ઉપર સાસરિયાઓએ નિર્લજ્જ હુમલો કરી તેનું બાવડું પકડી સાડી ફાડી નાખી હોવાની ફરિયાદ આટકોટ પોલીસ મથકે નોંધાઈ છે. આ હુમલા દરમિયાન પરિણીતાની પુત્રી વચ્ચે પડતાં તેને પણ બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે એક દંપતી સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જસદણ તાલુકાના એક ગામમાં રહેતી પીડિત પરિણીતાએ જંગવડ ગામના રહેવાસી શીતલ નારીગરા, તેના પતિ કમલેશ અને તેના સસરા લખમણ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ વિવાદની પૃષ્ઠભૂમિ જૂની અદાવત સાથે જોડાયેલી છે. અગાઉ આરોપી શીતલે તેના પતિ, દિયર, જેઠ અને સસરા સામે કોઈ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓ જામીન પર મુક્ત થયા હતા. ત્યારથી આરોપીઓ પરિણીતા પ્રત્યે ખાર રાખતા હતા અને તે જ્યારે પણ જંગવડ ગામે જતી ત્યારે આરોપીઓ તેને અવારનવાર ગાળો આપતા હતા.
ઘટનાના દિવસે, પરિણીતા પોતાની મોટી પુત્રી સાથે જંગવડ ગામે ગઈ હતી. ત્યાં કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં આરોપી શીતલ અને તેના સસરા લખમણે પરિણીતા સાથે ઝઘડો શરૂૂ કર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા. વિવાદ વધતાં ઉશ્કેરાયેલા સસરા લખમણે લાકડી વડે પરિણીતા પર હુમલો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન આરોપીએ મહિલાનું બાવડું પકડી લીધું હતું અને તેની સાડી ફાડી નાખી નિર્લજ્જ વર્તન કર્યું હતું.
માતાને બચાવવા માટે જ્યારે તેની મોટી પુત્રી વચ્ચે પડી, ત્યારે આરોપી શીતલે તેને નીચે પછાડી દીધી હતી અને નિર્દયતાથી માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓએ પીડિતોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ આટકોટ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે દંપતી સહિત ત્રણેય આરોપીઓ વિરૂૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂૂ કરી છે.
