વિશેષ અંક
અમ્લપિત્ત (એસીડીટી) પ્રત્યે અવગણના ગંભીર બીમારી નોતરી શકે છે
આયુર્વેદમાં એસીડીટીને અમ્લપિત્ત કહેવામાં આવે છે. આ એસીડીટી મસાલા વાળા, ગરમ અને તીખું ભોજન ખાવાને કારણે થાય છે. આયુર્વેદ અનુસાર વાત, પિત્ત અને કફના અસંતુલનના કારણે એસીડીટી થાય છે. એસીડીટી થતા હોજરી અને પેટમાં ગરમી પિત્ત વધી જવાથી ગળું , પેટ હોજરી કે છાતીમાં દાહ- બળતરા, બેચેની, અપચો, ગેસ વાયુ, કડવા- તીખા કે ખાટા ઓડકાર આવે છે.ખાસ કરીને એસીડીટી છાતી અને ઉદરમાં થનારી બળતરા અને દર્દ શરીરમાં એસિડની વધારે માત્રા થવાથી થાય છે. અત્યારના સમયમાં વધારેમાં વધારે તકલીફ વ્યક્તિઓને એસીડીટી ની હોય છે કારણકે ખાનપાન અને ફાસ્ટ ફુડ વધ્યા છે. લોહીમાં 20 ટકા એસિડ અને 80 ટકા ક્ષાર એલ્કાઈ હોય છે. જ્યારે લોહીમાં તેજાબની માત્રા વધી જાય છે ત્યારે ભોજન પચાવનાર અંગને પ્રભાવિત કરે છે. એસીડીટીમાં વ્યક્તિના અંગમાંથી હોજરીમાંથી ખોરાક પાછો ઉપર અન્નનળીમાં ચડે છે, જેના કારણે ખાટા તીખા ઓડકાર આવે છે, પેટમાં બળે છે. જેના લીધે આ એસીડીટી થયા કરે છે.
અમ્લપિત્ત મા બે શબ્દ જોવા મળે છે, અમ્લ એટલે ખાટું અને પિત એટલે એસિડ કે પાચક સ્ત્રાવ. આચાર્ય ચરકે પિત્તનો રસ કટુ (તીખો) અને અમ્લ (ખાટો) બતાવ્યો છે પણ અમ્લપિત્તમાં અમ્લની પ્રધાનતા જોવા મળે છે. આચાર્ય સુશ્રુત જણાવે છે કે કટુ તે મુખ્ય રસ છે અને તે વિદગ્ધ થતાં અમ્લ બને છે. આચાર્ય કાશ્યપે અમ્લપિત્તમાં ત્રણે દોષો (વાત, પિત્ત અને કફ)ને સંલગ્ન કર્યા છે જયારે આચાર્ય માધવ તેમાં પિત્ત દોષની પ્રધાનતા માને છે.અમ્લપિત્તના બે પ્રકાર પડે છે.
1. ઉર્ધ્વગ: અમ્લપિત્ત એટલે ઉપર તરફ. જેમાં ખાટા ઓડકાર અને ઉલ્ટી થતી જોવા મળે છે અને તેનાં પછી લક્ષણો ઓછા થાય છે. ઘણી વાર તેની સાથે ચામડી પર વિવિધ ચકામાં પણ જોવા મળે છે. તેમાં માથામાં દુખાવો પણ જોવા મળી શકે છે.
2. અધોગ અમ્લપિત્ત જેમાં બળતરા વગેરે લક્ષણો સાથે સ્વેદ એટલે કે પરસેવો પણ જોવા મળે છે. તેમાં ઉલ્ટીના લક્ષણ જોવા મળતા નથી.
આધુનિક વિજ્ઞાનમાં તેને હાઈડ્રોકલોરિક એસિડના અતિ સ્ત્રાવ સાથે સરખાવવામાં આવે છે. જે પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. જો અમ્લપિત્તને અવગણવામાં આવે તો તે આગળ જતાં અન્ય અનેક વ્યાધિઓને પેદા કરી શકે છે.
એસિડિટી થવાના ઘણા કારણો છે, જેમાં મુખ્ય નીચે મુજબ છે-
– વધુ પડતો મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ખાવો.
– અગાઉ ખાધેલા ખોરાક પચ્યા વિના ફરીથી ખોરાક ખાવો.
– વધુ એસિડિક પદાર્થોનું સેવન કરવું.
પૂરતી ઊંઘ ન લેવાથી પણ હાઈપર-એસીડીટી થઈ શકે છે.
– લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ એસિડિટી થાય છે.
– લાંબા સમય સુધી પેઇનકિલર જેવી દવાઓ લેવાથી.
– આલ્કોહોલ અને કેફીનયુક્ત પદાર્થોનો વધુ પડતો વપરાશ.
– વધુ પડતું ખાવું અને જમ્યા પછી તરત ઊંઘી જવું.
– અતિશય ધૂમ્રપાનને કારણે.
– કેટલીકવાર વધુ પડતા સ્ટ્રેસને કારણે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એસિડિટીની સમસ્યા થાય છે.
– આજકાલ ખેડૂતો પાક ઉગાડવા માટે અનેક પ્રકારના જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ કરે છે, જેના કારણે આ ઝેરી રાસાયણિક ખોરાક ખાદ્ય પદાર્થો દ્વારા શરીરમાં પહોંચે છે અને પેટ સંબંધિત રોગો થાય છે.
મુખ્ય લક્ષણો:-
1. દાહ પેટમાં, ગળામાં કે હ્ર્દયની આજુબાજુનાં ભાગમાં બળતરા અનુભવવી,
2. અમ્લ -ઉદગાર ખાટા ઓડકાર આવવા,
3. ઉબકા અને ઉલ્ટી જેવી અનુભૂતિ, 4. અરુચિ,
5. અજીર્ણ ખોરાક યોગ્ય રીતે ન પચવો,
6. માથું દુખવું,
7. ઘણી વાર મુખમાંથી દુર્ગંધ આવવી
સામાન્ય રીતે, એસિડિટીથી રાહત મેળવવા માટે, લોકો પહેલા એસિડિટી માટે ઘરેલું ઉપચારનો આશરો લે છે. અહીં કેટલાક એસિડિટી માટે ના ઉપચાર છે જે એસિડિટી દૂર કરવામાં મદદ કરે છે.
– એસિડિટી થવા પર ઠંડા દૂધમાં એક સાકર મિક્ષ કરીને પીવાથી આરામ મળે છે.
– એક ચમચી જીરું અને અજમા ના બીજને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો અને ખાંડ મિક્સ કર્યા પછી પીવો.
-એસિડિટી માટે વરિયાળીના બીજ ફાયદાકારક છે. જમ્યા પછી વરિયાળી ચાવવાથી એસિડિટીથી રાહત મળે છે.
– તજ કુદરતી એન્ટિ-એસિડ તરીકે કામ કરે છે અને પાચન શક્તિને વધારીને એસિડની વધારાની રચનાને અટકાવે છે.
– ગોળના સેવનથી પેટની એસિડિટી ઓછી થાય છે. જમ્યા પછી અથવા દિવસ દરમિયાન ગમે ત્યારે ગોળનું સેવન કરો. ગોળ પાચનને સુધારે છે, પાચનતંત્રને વધુ આલ્કલાઇન બનાવે છે અને પેટની એસિડિટી ઘટાડે છે.
– જો એસિડિટીની સમસ્યા હોય તો રોજ એક કેળું ખાવાથી આરામ મળે છે.
– નારિયેળ પાણી એસિડિટી સામે લડવામાં મદદ કરે છે. એસિડિટી થવાની સ્થિતિમાં નારિયેળ પાણીનું સેવન કરો.
– તુલસીના 5-7 પાનને પાણીમાં ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને તેમાં થોડી ખાંડ નાખી પીવો.
– ગુલકંદનું સેવન કરો, તે હાઈપર એસિડિટીમાં ખૂબ જ ફાયદાકારક છે.
– વરિયાળી, આમળા અને ગુલાબના ફૂલનો પાઉડર બનાવીને અડધી ચમચી દિવસમાં બે વાર લેવાથી એસિડિટીમાં આરામ મળે છે.
– જાયફળ અને સૂકા આદુને ભેળવીને પાઉડર બનાવીને એક ચપટી ખાવાથી એસિડિટી મટે છે.
– ગિલોયના મૂળના પાંચથી સાત ટુકડા પાણીમાં ઉકાળો અને તેને હૂંફાળું પીવો.
ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
જો એસિડિટી વારંવાર થતી હોય તો તમારે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ.
ગુજરાત
આરંભ હૈ પ્રચંડ…એક ગીતે ચખાડ્યો સફળતાનો સ્વાદ
સંગીતના જે બીજ પિયરમાં રોપાયા તેને સાસરે જતાં પ્રોત્સાહનરૂપી પાણી અને પ્રેરણારૂપી ખાતર મળતા થયું વૃક્ષમાં પરિવર્તન
ભક્તિબાએ આપ મેળે,આપ બળે અને પરિવારના પ્રેમના પરિબળે મેળવી છે સફળતા
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું છે ત્યારે ુજ્ઞીિીંબય અને અન્ય માધ્યમ પર જુદા જુદા પ્રકારના વીડિયોનો રાફડો ફાટ્યો છે.આ બધા વચ્ચે શાસ્ત્રીય સંગીત તેમજ પરંપરાગત ગીતો દ્વારા શીતળતા આપતા સંગીતની સફર કરાવે છે ભક્તિબા જેઠવા.તેઓએ ખૂબ જ ઓછા સમયમાં સોશિયલ મીડિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. અર્થપૂર્ણ અને સુમધુર સંગીત તેમજ આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત કરતાં સંગીતને તેઓ લોકો સુધી પહોંચાડે છે. લોકોએ પણ તેમના આ પ્રયાસને બિરદાવ્યો છે. કોઈપણ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ વગર તેઓએ ગયેલ ‘આરંભ હૈ પ્રચંડ’ગીત વન મિલિયનથી પણ વધુ લોકો સુધી વાઇરલ થયું છે ત્યારે ભક્તિબા જેઠવાની ટૂંક સમયમાં અહીં સુધી પહોંચવાની સફર જાણવા જેવી છે.
જન્મ ભાવનગરના ટાણા ગામમાં થયો.માતા હિનાબા ગોહિલ અને પિતાજી મેઘરાજસિંહ ગોહિલ અને ભાઈ સિદ્ધરાજસિંહ ગોહિલ એમ નાના પરિવારમાં બધાને સંગીત પ્રત્યે રુચિ હતી. માતા પણ ખૂબ સારું ગઈ શકતા હતા. ભાઈ તેમજ પપ્પાને પણ સંગીત પ્રિય છે.10 ધોરણ બાદ 11 માં ધોરણથી ભાવનગર નંદકુંવરબા હાઇસ્કૂલમાં ભણ્યા. શાળાના સમય દરમિયાન પણ પોતે જીએસ બન્યા તેમજ હેન્ડબોલ, બાસ્કેટબોલ, રેસલિંગ,પિસ્ટલ શૂટિંગમાં નેશનલ સુધી રમ્યા છે.સ્પોર્ટ્સમાં અવ્વલ રહેતા ભક્તિબાને જીવનમાં કંઈક આગવી ઓળખ ઊભી કરવી એવું સ્વપ્ન હતું.આ દરમિયાન એન્જિનિયર અને એમબીએ ભણેલા સત્યરાજસિંહ જેઠવા સાથે લગ્ન થયા. સંગીતના જે બીજ પિયરમાં રોપાયા તેને સાસરે જતાં પ્રોત્સાહનરૂૂપી પાણી પ્રેરણારૂપી ખાતર મળતા તેનું વૃક્ષમાં પરિવર્તન થયું.નાનપણમાં સ્વાધ્યાય પરિવારમાં ભાવગીત ગાતા, દાદી સાથે પણ ભજનો ગાતા પરંતુ આ બધી પ્રવૃત્તિને ચોક્કસ દિશા,પતિ સત્યરાજસિંહે આપી.તેઓએ ભક્તિબાની ગાવાની કલાને વધુ નિખાર આપવા સંગીત શીખવાનું સૂચન કર્યું અને તેઓનો સંગીતનો અભ્યાસ શરૂૂ થયો.
સંગીતના અભ્યાસ સાથે પર્વને અનુરૂપ ગીતો તેઆ ુજ્ઞીિીંબયમાં પણ મૂકે છે. સૌપ્રથમ હનુમાન ચાલીસા મૂક્યા બાદ ‘વીજળીના ચમકાર’ે તેમજ જન્માષ્ટમીમાં કૃષ્ણગીત અને નવરાત્રીમાં ગરબા એમ દરેક તહેવારને અનુરૂપ ગીતો મૂક્યા પરંતુ એક મુલાકાત દરમિયાન પીયૂષ મિશ્રા લિખિત ગીત ‘આરંભ હૈ પ્રચંડ’ કોઈ પણ વાદ્ય વગર ગાયું,જે લોકોને એટલું બધું પસંદ પડ્યું કે તેના વન મિલિયનથી પણ વધુ વ્યુઅર્સ થયા અને તેમની લોકપ્રિયતાનો વર્ગ મોટો થયો. સ્ટ્રગલની વાત પૂછતા તેઓએ જણાવ્યું કે, શરૂૂઆતના દિવસોમાં થોડી મુશ્કેલી પડી કારણકે આ વિષય બાબત કોઈ નોલેજન હોવાથી બધા જ રસ્તા જાતે શોધવા પડ્યા પરંતુ મારા સ્વભાવ મુજબ જે નક્કી કરું એ કરીને જ રહું.પતિની જોબમાં બરોડા ટ્રાન્સફર થઈ ત્યારબાદ સંગીત શીખવાનું હોય કે ,રેકોર્ડિંગ હોય દરેક બધામાં પતિનો ખૂબ સહકાર મળ્યો.પતિ ઈચ્છતા કે હું પણ મારા સ્વપ્નને સાકાર કરું. જેના ફળ સ્વરૂપે ગાવા માટે અનેક આમંત્રણો મળવા લાગ્યા.
અત્યારે રાજકોટમાં સહિયર ક્લબ,ક્ષત્રિય સમાજ માટે તેઓ નવરાત્રીના નવ દિવસ ગાવાના છે. આ સિવાય પણ તેમને વિદેશમાંથી પણ નવરાત્રીમાં ગાવાની ઓફર આવી છે.ભક્તિબાને ભજન, ભાવગીત, લગ્નગીત, ગરબા, જુના ગીતો, લોકગીતો વગેરે ઝોનમાં ગાવું ખૂબ પસંદ છે. કહેવાય છે કે, દીકરી બે કુળને તારે છે એ જ રીતે ભક્તિબાએ પણ ગોહિલ અને જેઠવા પરિવારનું નામ રોશન કર્યું છે અને આનું શ્રેય તેઓ સાસુ ગીતાબા જેઠવા તથા સસરા પ્રદ્યુમ્નસિંહ જેઠવાને આપે છે.વડીલોના આશીર્વાદથી હજુ પણ તેઓ માટે અનેક તકો આવીને ઊભી રહેશે અને સફળતા પણ મળશે પરંતુ ભક્તિબાનું એક ડ્રીમ છે કે જે જૂના ગીતો છે તેના ભાવને લોકો સુધી પહોંચાડવા છે. મારું સંગીત સાંભળીને લોકો સંગીત પસંદ કરવા લાગે તેનાથી રૂડું શું હોય? અત્યારે જીવનમાં દરેક લોકો સ્ટ્રેસ અનુભવી રહ્યા છે ત્યારે મારે સંગીત દ્વારા લોકોને શાંતિ અને સુકુન આપવા છે સંગીત મેડિટેશન છે તેમજ નવધા ભક્તિમાં ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે તેથી દરેક લોકો સૂરોની સાધના દ્વારા શાંતિ મેળવે એ જ સ્વપ્ન છે. ભક્તિબા જેઠવાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દિલની વાત સાંભળો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, દિલની વાત સાંભળો. અંદરથી જે અવાજ આવે તે કરો. ભગવાનમાં શ્રદ્ધા રાખો. કર્મ કરીને ભગવાનને સોંપી દો. તમે તમારા માટે સ્ટેપ લેશો તો બીજા તમારા માટે સ્ટેપ લેશે. પરિવારમાં પણ એક વિશ્વાસ ઊભો કરો કે પરિવાર તમારી સાથે હર હંમેશા રહે. તમારી જાત માટે પ્રમાણિક રહો, પોતાની જાત માટે પ્રમાણિક રહેશો તો પછી કંઈ કરવાની જરૂર નહીં રહે.
સફળતાનું શ્રેય વહાલસોયા સ્નેહીજનોને
ભક્તિબા પોતાને મળેલ સફળતા બદલ સૌથી વધુ શ્રેય દાદા ગોવિંદસિંહ ગોહિલને આપે છે તેમની સાથેના સંસ્મરણો વાગોળતા તેઓ જણાવે છે કે,”દાદા અને હું સાથે ગાતા. હું દાદાની સૌથી વધુ લાડકી હતી. એ સમયે દાદાએ એન્જિનિયરિંગ કરેલું અને ખૂબ આગવા વિચારો ધરાવતા હતા.આ ઉપરાંત ભાઈ સિદ્ધરાજસિંહ ગોહિલ તેમજ પોતાની પાંખોને ઉડવા માટે આકાશ આપનાર પતિ સત્યરાજસિંહ જેઠવા તેમજ ખાસ સહેલી ક્રિનલ જેતાણી તેમજ સાસુ સસરા અને માતા-પિતાનો પણ મારી સફળતામાં ખૂબ મોટો ફાળો છે”.
ગુજરાત
માનસી પારેખ: કચ્છ એક્સપ્રેસની સફરમાં મળી નેશનલ એવોર્ડની મંઝિલ
કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા ત્રણ એવોર્ડમાંથી શ્રેઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર માનસી પારેખ ગોહિલે ઉડાન માટે આપી વિશેષ મુલાકાત
અનેક સંઘર્ષો બાદ મળેલ સફળતારૂપી એવોર્ડની જાહેરાત સાંભળી બંને પતિ-પત્નીની આંખમાંથી આંસુ વહી ગયા હતા
ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં ગૃહિણીના પાત્રમાં ‘મોંઘી’ને એક ભેટ આપતા તેનો દીકરો કહે છે કે , ‘આને ડ્રીમ કેચર કહેવાય જે તારા સપના પૂરા કરશે.’ અહીં મોંઘીનું પાત્ર ભજવતા માનસી પારેખ માટે કચ્છ એક્સપ્રેસ ખરેખર ડ્રીમ કેચર સાબિત થઈ છે.દરેક કલાકારની જેમ માનસી પારેખનું નેશનલ એવોર્ડ મેળવવાનું સ્વપ્ન આ ફિલ્મ દ્વારા પૂર્ણ થયું છે ત્યારે એવોર્ડ મળવાની ખુશી સાથે અનેક વિષય પર ઉડાન માટે માનસી પારેખ ગોહિલે ખાસ મુલાકાત આપી હતી.
અમદાવાદમાં તેઓ નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે નેશનલ એવોર્ડના સમાચાર મળ્યા ત્યારે થોડી વાર તો આ વાત માનવામાં ન આવી પરંતુ હકીકત સામે આવી ત્યારે ખુશીના આંસુ નીકળ્યા હતા. માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ, સોશિયલ એન્ડ એન્વાયર્નમેન્ટલ વેલ્યુઝ તેમજ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર માટે નિકી જોશીને એવોર્ડ મળ્યા છે. કોઈ ગુજરાતી ફિલ્મને ત્રણ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળે તેવી પ્રથમ ઘટના છે.આ ફિલ્મનું નિર્માણ પણ માનસી પારેખે પતિ પાર્થિવ ગોહિલે સાથે મળીને કર્યું છે ત્યારે આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, ‘આ અમારા અને અમારા પ્રોડક્શન હાઉસ માટે ખૂબ મહત્ત્વની બાબત છે કારણ કે ગુજરાતી ફિલ્મ બનાવવાનો અમારો હેતુ એ હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવામાં આવે અને આ નેશનલ એવોર્ડ હવે ચોક્કસ અમને ત્યાં લઈ જશે.’
મુંબઈમાં જન્મ, ઉછેર અને અભ્યાસ કર્યો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇંગ્લિશ લિટરેચર સાથે બી.એ કર્યું ત્યારે કોઈને ક્યાં ખ્યાલ હતો કે સાહિત્ય,સંગીત અને અભિનયમાં પા પા પગલી કરતી આ દીકરી રાષ્ટ્રીય ક્ષેત્રે એવોર્ડ મેળવી ગુજરાતને ગૌરવ અપાવશે. 18 વર્ષની ઉંમરે એકતા કપૂરની સિરિયલ ‘કિતની મસ્ત હે જિંદગી’ થી અભિનયની યાત્રા શરૂ કરી. સંગીતનો શોખ તો હતો જ ત્યારે ગુજરાતી સા રે ગા મા માં ભાગ લેતી વખતે શોના એન્કર અને ખૂબ જાણીતા ગાયક કલાકાર પાર્થિવ ગોહિલને મળ્યા,સાથે શૂટિંગ કરતાં કરતાં એકબીજાને ગમવા લાગ્યા અને પરણી ગયા. આ બાબત માનસી પારેખ જણાવે છે કે ‘મારી કેરિયર ખરેખર લગ્ન પછી જ શરૂ થઈ. અમે બંને વર્કોહોલિક છીએ અને જીવનમાં કંઈક કરવા માટે બંને સાથે જ પ્રયત્ન કરીએ છીએ. ફિલ્મનો એવોર્ડ જાહેર થયો ત્યારે અમારા બંનેની આંખમાં આંસુ હતા. પતિ-પત્ની કરતાં અમે મિત્રો વધુ છીઅ’.
ટીવી સિરિયલ, રિયાલિટી શો,ફિલ્મ વગેરે કરનાર માનસી પારેખને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ત્યારે સંઘર્ષના એ દિવસો યાદ કરતા તેઓએ જણાવ્યું કે, ‘સંઘર્ષ વગર ક્યારેય સફળતા મળતી નથી.પ્રારંભના દિવસોમાં કામ મેળવવા ઘણો સંઘર્ષ કર્યો છે. મહિનાઓ સુધી ઓડિશન આપવા, ત્યારબાદ રિજેક્શન, ઘણીવાર કોલબેક ન આવે,આવા સમયે હતાશ થઈ જવાતું. તમારી આજુબાજુના મિત્રો ડોક્ટર, એન્જિનિયર કે ટીચર બની સફળતાપૂર્વક કામ કરતા હોય ત્યારે તમને લાગે કે મારું શું થશે? પણ પછી એમ થાય કે જે થશે એ સારું થશે અને પછી જ્યારે રીવોર્ડ રૂપે એવોર્ડ મળે ત્યારે ખુશીને વર્ણવવા માટે શબ્દો નથી હોતા.’
કચ્છ એક્સપ્રેસ પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ છે જેમાં સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને રસપ્રદ રીતે રજૂ કર્યા છે. ગુજરાતી ફિલ્મોમાં નારીને કેન્દ્રસ્થાને રાખીને ઓછી ફિલ્મો બને છે અને એટલે જ આ ફિલ્મ લોકોને ગમી છે. ફિલ્મમાં સાસુનું પાત્ર ભજવતા રત્ના પાઠક શાહે પણ ફિલ્મની પ્રશંસા કરી હતી.આ ઉપરાંત એવોર્ડ મળ્યો ત્યારે માનસી પારેખે જ્યાં અભ્યાસ કર્યો હતો તે સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસરે ફોન કરીને અભિનંદન આપ્યા હતા કે, ‘ભારતના 133 મિલિયન લોકોમાંથી આ એવોર્ડ તને એવોર્ડ મળ્યો છે તે બહુ મોટી વાત છે.’ માનસી પારેખ જણાવે છે કે, ‘ઘણી વખત કામ સારું હોય તો તે લોકો સુધી નથી પહોંચતું અને ઘણીવાર લોકો સુધી પહોંચે તો તેની યોગ્ય કિંમત અંકાતી નથી પરંતુ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને બંને મળ્યું છે તે ભગવાનના આશીર્વાદ છે.’ આજકાલ ખૂબ સારું કામ થઈ રહ્યું છે ત્યારે તમારું કામ લોકોથી અલગ હોય તો નજરમાં આવે છે સ્ટ્રગલ બધાની ચાલતી હોય છે પરંતુ સફળતાના શિખર પર કોઈ એક જ હોય છે.
આ એવોર્ડના કારણે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધશે.અનેક લોકો પોતાના વતનથી દૂર વિદેશમાં વસતા હોય છે ત્યારે ફિલ્મ દ્વારા તેમનું ભાષા અને વતન સાથેનું કનેક્શન જળવાઈ રહેશે.
ભવિષ્યના સ્વપ્ન વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ તો હજુ એક પગથિયું છે ઘણું કામ કરવાનું બાકી છે અને ઘણા બધા પ્લાન છે, માનસી પારેખ ગોહિલને તેના ઉજજવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
પોતાની જાતને રિસ્પેક્ટ આપો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, ‘દરેક સ્ત્રીમાં ભગવાને એક શક્તિ મુકેલ છે જેની ઓળખ ખુદ સ્ત્રીને જ હોતી નથી પરંતુ તે શક્તિને ઓળખો અને તેનો ઉપયોગ કરો. પોતાની જાતને રિસ્પેક્ટ આપશો તો બીજા લોકો પણ રિસ્પેક્ટ આપશે.’
માનસી પારેખને…
4 ચાઈનીઝ ફૂડ ખૂબ ભાવે છે,ઘરના દાળ-ભાત, શાક, રોટલી, મેથીનું શાક અને વેજીટેબલ્સ ખૂબ ભાવે છે…
4 લૂઝ અને કમ્ફર્ટબલ ક્લોથ ગમે છે…
4 હિન્દી ફિલ્મ અભિનેતામાં અમિતાભ, નસીરૂદ્દીન શાહ, રત્ના પાઠક શાહ ગમે છે….
4 હિન્દી ફિલ્મ ગીતોમાં એ.આર.રહેમાનના બધા જ ગીતો ગમે છે…
4 ફરવા માટે ઇન્ડિયાની દરેક જગ્યા ગમે છે તો ફોરેનમાં યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ગમે છે
WRITTEN BY :~ BHAVNA DOSHI
આંતરરાષ્ટ્રીય
વિદેશીઓને તાળીઓના તાલે ગરબે ઘુમાવે છે ‘સોનલબેન ગરબાવાળા’
કેનેડામાં ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને ગરબા સહિત ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે ડો.સોનલ શાહ
કેનેડાના એક મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી. મંદિર વ્યવસ્થાપકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે મહિલા સાડી પહેરીને આવશે તેને જ કળશ યાત્રાનો લાભ મળશે.ભારતની જ એક દીકરીને કળશ યાત્રાનો લાભ લેવો હતો પરંતુ તેની પાસે સાડી નહોતી અને સાડી પહેરતા પણ આવડતું ન હોવાના કારણે ત્યાં રહેતી એક ભારતીય મહિલાને પોતાની વાત જણાવે છે. એ મહિલાએ પોતાની સાડી આપી એટલું જ નહિ પણ સુંદર રીતે પહેરાવી અને તૈયાર પણ કરી આપી. એ દીકરી ખૂબ જ ખુશ થઈ અને કળશ યાત્રાનો લાભ લીધો. પોતાની સાડી આપનાર એ ભારતીય મહિલા એટલે ડો.સોનલબેન શાહ. જેઓ કેનેડામાં રહીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરે છે. આ તો ફક્ત સાડીની વાત હતી પરંતુ મહેંદી શીખવવાથી લઈને ગરબા અને દરેક રાજ્યના લોકનૃત્ય પણ તેઓ શીખવે છે. કેનેડામાં તેઓ ‘સોનલબેન ગરબાવાળા’ તરીકે જ ઓળખાય છે અને પોતાની આ ઓળખ માટે તેઓને ગર્વ છે.
મુંબઈમાં જન્મ અને ઉછેર થયો. 18 વર્ષની ઉંમરે લગ્ન કરીને વડોદરા આવ્યા. લગ્ન પછી આયુર્વેદ, નેચરોપેથી,સાઈકોલોજી વગેરે કર્યું અને 22 વર્ષની ઉંમરે સાઈકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.દીકરી એશા અને દીકરા શુભમનો જન્મ થયો.બાળકોના ઉછેર સાથે તેઓ અનેકવિધ પ્રવૃત્તિ કરતા હતા. આ પ્રવૃત્તિમાં તેઓને સૌથી વધુ આકર્ષણ ગરબા પ્રત્યે હતું. પ્રાચીન-અર્વાચીન ગરબાનું તેમનું ગૃપ પણ હતું નવરાત્રીમાં તેઓ ગરબા ક્વીન બનતા. બેઠા ગરબા ઉપરાંત સંસ્કૃતમાં પણ ગરબા કરાવતા. કોરોના સમયે ઓનલાઇન ગરબામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા,યુકેના લોકો પણ જોડાયા હતા.આ સમય દરમિયાન દીકરીને આગળ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાનું થયું એટલે સોનલબેન પણ અનુકૂળતા અનુસાર દીકરી પાસે કેનેડા આવવા જવા લાગ્યા,ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેઓ કેનેડામાં સ્થિર થયા છે ત્યારે ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને તેઓ ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે.
છેલ્લા 17 વર્ષથી રીલેશનશિપ પર કાઉન્સિલિંગ કરનાર અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને જીવનમાં ઉતારનાર ડો. સોનલબેન શાહ જણાવે છે કે, ‘વિદેશમાં જ જન્મેલ અને ઉછેર પામેલ યુવાનો આપણાં પ્રાચીન-અર્વાચીન ગરબા, આપણી પરંપરા,સંસ્કૃતિ વિશે અજાણ હોય છે. તેથી તેમના માટે રાજસ્થાની નૃત્ય, ભાંગડા,લાવણી અને ગરબા શીખવીએ છીએ પરંતુ ગરબા શીખવવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.આ વર્ગોમાં ભારતીય લોકો સાથે વિદેશી લોકો પણ જોડાય છે. તેઓને હું તાળીનું મહત્ત્વ, ભાવનું મહત્ત્વ અને સંગીતનું મહત્ત્વ સુપેરે સમજાવું છું ત્યારે દરેક વિદેશીઓ પણ ભાષા ન જાણતા હોવા છતાં તાળીઓના તાલે મોજથી ગરબામાં ઝૂમી ઉઠે છે. અત્યાર સુધીમાં 350થી વધુ લોકોને ગરબા શીખવ્યા છે. વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર, કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે.’
તેમની દીકરી એશા રાજસ્થાની નૃત્ય અગ્નિ ભવાઈમાં એક્સપર્ટ છે જેમાં માથા પર અગ્નિ રાખીને નૃત્ય કરવાનું હોય છે. તાજેતરમાં નાથન ફિલિપ સ્ક્વેરમાં તેણીએ પરફોર્મ કર્યું અને ઇન્ટરનેશનલ ડાન્સિંગ શોમાં પણ પરફોર્મ કરવાની તક મળી છે. ભારતીય સંસ્કૃતિ અને આપણા મૂળભૂત રીતે રિવાજો જળવાઈ રહે તે માટે સોનલબેનને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે જેમાં તેઓ આપણા શાસ્ત્રોકત રીતિ રિવાજો,વ્રત,ઉત્સવ દરેકના કારણો અને મહત્ત્વ વિશેની માહિતી નવી પેઢીને આપી શકે. ડો.સોનલ શાહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર,કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે: ડો.સોનલ શાહ
સ્ત્રીનું સ્વરૂપ સાડીમાં વધુ નિખરે છે
મહિલાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ‘દરેક દેશના લોકો પોતાના કલ્ચરને પ્રમોટ કરતા હોય તો ભારતીય થઈને આપણે આપણા કલ્ચરને કઈ રીતે ભૂલી શકીએ? અન્ય દેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે જ્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈને આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ.આપણે સાડી પહેરતા ભૂલી ગયા છીએ એટલું જ નહીં પરંતુ કુર્તા અને દુપટ્ટા પણ બહેનોના વસ્ત્રોમાંથી ગાયબ થઈ ગયા છે.ભગવાને સ્ત્રીને જે રૂૂપ આપ્યું છે તે સાડીમાં સૌથી વધુ નિખરે છે. જો સવારે જીમમાં જતી વખતે,ઓફિસ જતી વખતે કે પછી બહાર ફરવા જતી વખતે અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ તો પછી આપણા ટ્રેડિશનલ તહેવારો, પૂજા અને મંદિરમાં દર્શન કરવા જતી વખતે સાડી અથવા દુપટ્ટા સાથેની કુર્તી કેમ ન પહેરી શકીએ? ઇન્ડિયન કલ્ચર ખૂબ જ સમૃદ્ધ અને જાહોજલાલીવાળું છે. અહીંના લોકો વેજીટેરિયન અને વિગન બની રહ્યા છે ત્યારે આપણે ભારતીય તરીકે જાગૃત થવાની જરૂર છે.’
WRITTEN BY :- BHAVNA DOSHI
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો