કેન્સરની સારવાર બાદ હાથીની અંબાડી પર પરત ફરેલા રાજ્યમંત્રીના રાજકીય ધડાકા-ભડાકા
મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ તેઓ મોરબીના આંગણે પ્રથમ વખત આવતા તેઓનું અદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને હાથીની અંબાડીએ બેસાડીને તેમની મોરબીના દરબારગઢથી મોરબીના બાપાસીતારામ ચોક સુધીની રેલી યોજાઇ હતી ત્યાર બાદ જાહેર સભા યોજાઈ હતી જેમાં તેઓએ મોરબીની શાંતિ અને સલામતી માટે રાજકીય અને પોલીસના છેડા કરીને દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારાઓને તેના પિનિયા કાઢી નાખવા માટેની ખુલ્લી ધમકી કાંતિભાઈ અમૃતિયાએ જાહેર મંચ ઉપરથી આપી હતી. સાથો સાથ 1997માં મુખ્યમંત્રીને પણ અડી ગયાની વાત કરતા ભારે રાજકીય ખળભળાટ મચ્યો છે.
કાંતિભાઈ અમૃતિયાને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી હતી દરમિયાન તેઓને કેન્સરની બીમારી ડિટેક્ટ થઈ હતી જેથી તેઓની સારવાર ચાલુ હતી અને તાજેતરમાં તેઓનું કેન્સરનું ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ ફરી પાછા અગાઉની જેમ કાર્યરત થઈ ગયા છે ત્યારે કેન્સરની સફળ સારવાર પૂર્ણ થયા બાદ તેઓ પ્રથમ વખત મોરબીના આંગણે આવ્યા હોય મોરબી શહેર ભાજપ પરિવાર તથા તેઓના ટેકેદાર દ્વારા મોરબીમાં દરબારગઢથી લઈને મોરબીના બાપાસીતારામ ચોક સુધી કાંતિભાઈ અમૃતિયાને હાથીની અંબાડી ઉપર બેસાડી રેલી કાઢવામાં આવી હતી.
કાંતિભાઈ અમૃતિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે તેઓની કેન્સરની સારવાર ચાલુ હતી ત્યારે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના, યજ્ઞ, હનુમાન ચાલીસાનું પઠન અને સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર તમામ લોકોને તેઓએ આભાર કર્યો હતો કેટલાક શખ્સો દાદાગીરી અને લુખ્ખાગીરી કરી રહ્યા છે તેઓને ખુલ્લી ધમકી આપું છું કે તેઓ તેના પિનિયા કાઢી લે, મોરબીમાં વેપારીઓનું ગામ છે અહીં આખી દુનિયાના લોકો આવે છે અહીં શાંતિથી રહેવી જોઈએ.
વધુમાં કાંતિભાઇએ કહ્યુ હતું કે, મોરબીમાં મોકળુ મેદાન હોવાના સપના જોનારાઓ ઉપર નિશાન ટાંકતા કહ્યુ હતુ કે, ફુગ્ગામાં હવા હોય તે વધુ સમય રહેતી નથી પછી નિકળી જાય છે જો કે, હવે હવા વગરના ટાયર આવી ગયા છે તેના ઉપર ગમે તેટલા ટન વજન હોય તો પણ કોઇ ફેર પડો નહી, જેને જે કરવુ હોય તે કરે, કાન ભાઇ તેની ટીમ અને વેપારીઓની ટીમ તેઓની સાથે જ છે, કોઇપણ માણસનુ તપ હોય છે તેની બાજુમાં બેસવા માટે પણ ઘણી વખત એવું લાગતું હોય કે અડી જશે તો, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો. તો આમા બીજુ શું હવે. ઉલ્લેખનીય છે કે, 1997માં કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા.ઉલ્લેખનીય છે કે, 1997માં મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સામે ભાજપમાં જ બળવો થયો હતો અને પછી તેની સરકાર ઉથલાવવામાં આવી હતી.
