8 દિવસ પહેલા જ ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ આત્મઘાતી પગલુ ભર્યુ’તું
ગોંડલના નવા ગામમાં આઠ દિવસ પૂર્વે પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પત્નીના વિરહમાં પતિએ પણ ઝેરી પાવડર પી આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના નવા ગામમાં રહેતા ભાણજી મૂળજીભાઈ રાઠોડ નામનો 43 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઝેરી પાવડર પી લીધો હતો. યુવકને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભાણજીભાઈ રાઠોડ એકની એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો અને તેની સંતાન નથી આઠ દિવસ પહેલા તેની પત્ની ગાયત્રીબેન રાઠોડે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્નીના વિરહમાં પતિ ભાણજીભાઈ રાઠોડએ ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે સુલતાનપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
