જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પીઝા કિંગ નામનું પીઝા પાર્લર ચલાવતા રાકેશભાઈ છગનભાઈ કણઝારીયા કે જેણે આજથી છ માસ પહેલાં જામનગરમાં વસંત વાટીકામાં રહેતી પ્રીતિબેન વસંતભાઈ દાણીધારિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
પરંતુ તેઓનું લગ્ન જીવન ચાલ્યું ન હતું, અને બંને વચ્ચે ખટરાગ થયા બાદ અલગ રહેવા લાગ્યા હતા, અને પત્ની દ્વારા છૂટાછેડા આપવા માટેની માંગણી કરાઈ હતી.
દરમિયાન ગત 10 મી તારીખે પ્રીતિબેન પોતાના ભાઈ અમિતભાઈ દાણીધારીયા ને લઈને પિઝા પાર્લરમાં ગયા હતા, અને પતિ સાથે છૂટાછેડા ની વાતચીત કરતાં છુટાછેડા આપવાની પતિએ ના પાડી હતી, જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો.
જેમાં પ્રીતિબેને ટેબલ પર પડેલું ચાકુ ઉપાડી લઈ રાકેશ ઉપર ઉગામ્યુ હતું, ત્યારબાદ ભાઈ બહેન બન્ને એ મળી ને રાકેશ ઉપર હુમલો કરી દેતાં હોટલના સ્ટાફે વચ્ચે પડીને તેઓને છોડાવ્યા હતા. આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને રાકેશ કણજારીયા એ પોતાની પ્રેમિકા એવી પત્ની પ્રીતિબેન અને તેના ભાઈ અમિત સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત પ્રેમિકા પત્ની પ્રીતિબેન દાણીધારીયા એ પણ પોતાના ઉપર અને પોતાના ભાઈ અમિત ઉપર હુમલો કરી જાનથી મારે નાખવાની ધમકી આપવા અંગે પોતાના પતિ રાકેશ છગનભાઈ કણજારીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
