જામજોધપુરના જામવાડીની ઘટના : રાજકોટથી ઘરે પરત ફરતી વખતતે કાળ ખેંચી ગયો
જામજોધપુરના જામવાડીમાં રહેતા પ્રૌઢ રાજકોટથી બસમાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જામવાડી ગામના પાટીયા પાસે બસમાંથી નીચે ઉતરતાની સાથે જ અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.જામજોધપુરનાં જામવાડી ગામે રહેતા તુષારભાઈ રમણીકભાઈ ખાંટ નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં જામવાડી ગામના પાટીયા પાસે હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રૌઢના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મૃતક તુષારભાઈ ખાંટ બે ભાઈ એક બહેનમાં મોટા અને અપરિણીત હતાં. તુષારભાઈ ખાંટ શાપરમાં આવેલ કનેરીયા ઓઈલ કંપનીમાં નોકરી કરતાં હતાં. ગઈકાલે રજા હોવાથી રાજકોટ આવ્યા હતાં અને ત્યાંથી ઘરે પરત ફરતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જામજોધપુર પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
