રેસકોર્સ રોડ ઉપર શરૂૂ થયેલ ખાણીપીણીના રાત્રી બજારને લઈને સ્થાનિક નાગરિકોમાં ગંભીર અસંતોષ અને ભયની લાગણી વ્યાપી છે. જાહેર માર્ગ પર થયેલા અતિશય દબાણના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયો છે.
ખાસ કરીને પોલીસ હેડ ક્વાર્ટરથી કિશનપરા ચોક સુધી રાત્રિના સમયે જવું અઘરું બન્યું છે. જાહેર માર્ગ ઉપર ખાણીપીણીના સ્ટોલ, ગેરકાયદેસર પાર્કિંગ અને ભીડને કારણે સામાન્ય નાગરિકો, વડીલો, મહિલાઓ તથા ઇમર્જન્સી સેવાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રશ્ન એ છે કે જો દબાણ’શાખા રાત્રે 10 વાગ્યા પછી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય, તો ત્યારબાદ ટ્રાફિક અને જાહેર સુરક્ષાની જવાબદારી આખરે કોની?, રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખા અને રાજકોટ પોલીસ વચ્ચે સંકલનના અભાવને કારણે આ વિસ્તાર રોજે રોજ ટ્રાફિકના બોટલનેકમાં ફેરવાઈ રહ્યો છે. નિયમો માત્ર કાગળ પર જ હોય અને અમલ ન થાય, તો એ વ્યવસ્થા નહીં પરંતુ અવ્યવસ્થા કહેવાય.
સામાજિક અગ્રણી મયુર શાહની સ્પષ્ટ માંગ છે કે રાત્રી બજાર માટે ચોક્કસ ઝોન અને સમયમર્યાદા નક્કી કરવામાં આવે જાહેર માર્ગ પર દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે રાત્રિના સમયે ટ્રાફિક નિયંત્રણ માટે જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવે અને નાગરિકોની સુરક્ષા અને સુવિધા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો નાગરિકોના હિતમાં લોકશાહી રીતે અવાજ ઉઠાવવો અનિવાર્ય બનશે.
