રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકે જાણે ભરડો લીધો હોય તેમ આજે વૃધ્ધ સહિત વધુ બેના મોત નિપજ્યા હતા. ભવાનીનગરના પ્રૌઢ અને સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ રામનાથ પરામાં આવેલા ભવાની નગર શેરી નં.4માં રહેતા ગોવિંદભાઇ લાખાભાઇ ચૌહાણ (ઉ.વ.59) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્લિપટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇ બે બહેનમાં વચેટ અને મંજૂરી કામ કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. હાર્ટએટેક આવી જતા મોત થયાનું તબીબો દ્વારા જણાવાયુ છે.
જયારે બીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા સદ્ભાવના વૃધ્ધાશ્રમ રહેતા રમેશભાઇ ચૂનીલાલ ચૌહાણ (ઉ.વ.72)નામના વૃધ્ધ આજે સવારે વૃધ્ધાશ્રમ હતા ત્યારે હાર્ટએટેક આવતા બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યુ હતું. આ અંગે માલવીયાનગર પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
