શિવધારા સોસાયટીની ઘટના; આધેડને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલી શિવધારા સોસાયટીમાં રહેતા આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું છે. આધેડના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કોઠારીયા મેઇન રોડ ઉપર રણુજા મંદિર પાછળ આવેલ શિવધારા સોસાયટીમાં રહેતા કમલેશભાઈ જેન્તીભાઈ ભટ્ટી નામના 55 વર્ષના આધેડ રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કમલેશભાઈ ભટ્ટી ચાર ભાઈમાં વચ્ચે હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
