વર્ષોથી ચાલતી ટ્રેનો રેલવે દ્વારા એકાએક બંધ કરી દેતા ગીરના અનેક ગામોમાં રોષ : કેબિનેટ મંત્રી : પ્રદ્યુમન વાજાએ કરાવ્યા પારણા
ગિર ગઢડા તાલુકાના હરમડિયા ગામે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા રેલ્વે આંદોલનનો આજે રવિવારે અંત આવ્યો છે. વર્ષોથી કાર્યરત જૂનાગઢ-દેલવાડા અને વેરાવળ-દેલવાડા મીટરગેજ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ જીવાદોરી સમાન ટ્રેન પુન: શરૂૂ કરવાની માંગ સાથે હરમડિયા સ્ટેશને પ્રતિક ઉપવાસ શરૂૂ કરવામાં આવ્યા હતા.
આજે રવિવારે કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ભગુભાઈ પરમાર અને અન્ય અગ્રણીઓએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી. મંત્રીએ આંદોલનકારીઓના પ્રશ્નો સાંભળી તુરંત જ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી રજૂઆત કરી હતી. અધિકારીઓ તરફથી સકારાત્મક ખાતરી મળતા મંત્રીએ ઉપવાસ પર બેઠેલા ભાઈઓ-બહેનોને પારણા કરાવી આંદોલન સમેટાવ્યું હતું.આ પ્રસંગે કાળુભાઇ રૂૂપાલા, ઉકાભાઈ વાઘેલા, સુરેશભાઈ જોશી, હાર્દિકભાઇ પાનસુરીયા, કર્ણુભાઈ જોળિયા, ભરતભાઈ શિંગડ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર રેલ્વેસ્ટેશન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. જોકે, થોડા દિવસો પૂર્વે જ કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી વેરાવળ-કોડીનાર મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂૂપાંતરિત કરવા અને કોડીનાર રેલવે સ્ટેશનને પુન: કાર્યરત કરવા રજૂઆત કરાઈ હતી.
હવે જ્યારે હરમડિયાનો પ્રશ્ન હાલ પૂરતો ઉકેલાયો છે, ત્યારે આગામી દિવસોમાં રેલવે વિભાગ દ્વારા કોડીનાર – વેરાવળ બ્રોડગેજ કામગીરી અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર પણ સૌની મીટ મંડાયેલી છે.
