સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ માલવણકર અને દેશના જાણીતા ઍડ્વોકેટ એલ. એમ. નાણાવટી દ્વારા 1927માં સ્થપાયેલી અમદાવાદની GLS યુનિવર્સિટીએ ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાને ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કર્યા છે. GLS દ્વારા યુનિવર્સિટીમાં પર્ફોર્મિંગ આર્ટ્સનો કોર્સ શરૂૂ કરવામાં ’ગુજ્જુભાઈ’ તરીકે ગુજરાતીઓમાં પોપ્યુલર થયેલા સિદ્ધાર્થ રાંદેરિયા હવે ડો. સિદ્ધાર્થ રાંદેરિયા તરીકે ઓળખાશે.
બાળનાટકોથી રંગભૂમિ પર કાર્યરત સિદ્ધાર્થભાઈ છેલ્લાં 50 વર્ષથી ગુજરાતી રંગભૂમિ પર સક્રિય છે. સિદ્ધાર્થભાઈ કહે છે, ’નાનો હતો ત્યારે ડોક્ટર બનવાનું મન બહુ થતું, પણ આપણને ખબર છે કે આપણો એમાં કાંઈ ગજ વાગવાનો નથી એટલે ડોક્ટર તરીકે ઓળખાવું એક સપનું જ રહ્યું હતું, જે હવે આ રીતે પૂરું થયું એની ખુશી છે.’
બહુ ઓછા લોકોને ખબર છે કે સિદ્ધાર્થભાઈએ આર્કિટેક્ચરમાં ઍડ્મિશન લીધું હતું અને એક જ વર્ષમાં આર્કિટેક્ચર છોડીને તેઓ આર્ટ્સમાં આવી ગયા હતા. સિદ્ધાર્થભાઈ પોતાના કોલેજના એ દિવસોને યાદ કરતાં કહે છે, ’આર્કિટેક્ચર છોડવાનું એકમાત્ર કારણ એ કે કોલેજમાં ડ્રામાની કોઈ ઍક્ટિવિટી જ નહોતી થતી અને નાટક તો આપણો પહેલો પ્રેમ. એમ કાંઈ થોડું એને છોડી દેવાય.
