રાજકોટમાં કાલાવડ રોડ પર બની રહેલા સૌરાષ્ટ્રના પ્રથમ પેલીએટિવ કેરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે. આ તકે દ્વારકાની શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી. અહીં શંકરાચાર્યજીએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વધુ એક માંગણી કરી હતી.
રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલીએટિવ કેર બનાવવામાં આવી રહ્યું છે. આ સેન્ટર માટે દાતા તરફથી એક એકર જેટલી જમીન દાન મળી છે. હાલ રૂૂ. 7 કરોડના ફંડ સાથે 25 બેડની બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. બાદમાં બેડની સંખ્યા વધારીને 50 કરવામાં આવશે. પેલીએટિવ કેરના ભૂમિપૂજન સમારોહમાં દ્વારકાની શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી, જાણીતા કથાકાર જીગ્નેશ દાદા અને આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદજી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, માનવ સેવાનું પ્રત્યેક કાર્ય એ પ્રભુની પૂજા છે. દર્દી માત્રની સેવા કરવી એ માનવધર્મ છે.
ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની વાતનો પુનરોચ્ચાર કરતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, ગુજરાત કે દેશમાં નહીં પુરા વિશ્વમાં ગૌમાતાની પૂજા થવી જોઈએ. ગૌહત્યા બંધ થવી જોઈએ. હિન્દુ હોવાનું પ્રથમ લક્ષણ એ છે કે જે ગૌમાતાની પૂજા કરે છે. ગૌમાતાની પૂજા કરે તે જ હિન્દુ છે. ભારતીય શાસ્ત્રોમાં હિંદુની શાસ્ત્રોક્ત વ્યાખ્યા દર્શાવતો શ્ર્લોક બોલી તેમણે ગૌમાતાની પૂજા કરનાર વ્યક્તિ જ હિન્દુ કહી શકાય તેવું પ્રતિપાદિત કર્યું હતું.
