ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અશફાકભાઈ હનીફભાઈ સલાટ વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં મનીલેન્ડિંગ (વ્યાજખોરી) અને મારપીટનો ગુનો નોંધાયો છે. આ મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
ફરિયાદી અકીલભાઈ અખ્તરભાઈ અલાણી (ઉં.વ. 25) એ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેઓ વર્ષ 2019 થી સપ્ટેમ્બર મહિના દરમિયાન અશફાકભાઈની ’ટાઈગર ફાઇનાન્સ’ નામની ઓફિસમાં મજૂર અને હિસાબનીસ તરીકે કામ કરતા હતા.
અકીલભાઈ જ્યારે નોકરી છોડવા માંગતા હતા, ત્યારે આરોપીએ હિસાબમાં રૂૂ. 2.20 લાખની ભૂલ કાઢી તેમને માર માર્યો હોવાનો આરોપ છે. આ રકમની વસૂલાત માટે ફરિયાદીના માસિક પગારમાંથી રૂૂ. 8000/- લેખે ત્રણ વર્ષ સુધી કુલ રૂૂ. 2,88,000/- કાપી લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત, અકીલભાઈ પાસેથી બળજબરીપૂર્વક ત્રણ કોરા ચેક પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં તેનો ઉપયોગ કરી રૂૂ. 8.50 લાખની ખોટી નોટિસ અપાવી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આરોપીએ ફરિયાદીને “ટાંટિયા ભાંગી નાખવાની” અને સગાઈ તોડાવી નાખવાની ધમકી પણ આપી હોવાનું FIRમાં ઉલ્લેખ છે.
સુલતાનપુર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (B.N.S..) ની કલમો 384 (ખંડણી), 506 (ગુનાહિત ધમકી), 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) તેમજ ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ-2011 ની કલમ 33, 40, 42 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વસંતભાઈ સરીયા ચલાવી રહ્યા છે.
