શહેરના કોઠારીયા રોડ પર જવેલરી દુકાન ધરાવતા સોની વેપારીએ વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવારમાં ખસેડાયા છે. જાણવા મળતી વિગત મુજબ શહેરના લક્ષ્મીવાડી અવધ પ્લાઝા-2માં રહેતા અને કોઠારીયા નાકા પર આવેલ સોની બજારમાં આવેલ પ્રવીણ ચેમ્બરમાં પ્રતીક ઓર્નામેન્ટ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા નિલેશભાઈ પ્રવીણભાઈ પારેખ(ઉ.વ.60)ને આજે સવારે 8 વાગ્યાની આસપાસ ઝેરી દવા પી લેતા બે ભાન હાલતમાં પ્રથમ ગુદાવાડી બાદ સિવિલ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, સારવારમાં ખસેડાયેલા નિલેશભાઈ પારેખને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.
નિલેશભાઈ છેલ્લા કેટલાક સમયથી કરજથી મુશ્કેલી અનુભવતા હતા તેમણે ધંધા માટે ચાંદીની ખરીદી માટે ખાનગી ધોરણે બે ત્રણ વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને નિયમિત હપ્તા ભરતા હતા. પરંતુ ધંધામાં મંદિ આવતા વ્યાજ અને રકમ સમયસર ન ચૂકવી શકતા ઉઘરાણી આકરી થઈ હોવાનું જણાવી નિલેશભાઈના પુત્ર પ્રતીક એ જણાવ્યું હતું કે તેમના પપ્પા છેલ્લા કેટલાક સમયથી કરજના કારણે મૂંઝાઈ ગયા હતા. સવારે પરિવાર દેવ દર્શને ગયો ત્યારે દુકાન પાસે રહેતા રમેશભાઈનો ફોન આવ્યો હતો કે નિલેશભાઈએ દુકાન પાસે જ દવા પી લીધી છે અને તરફડિયા મારે છે, પરિવારજનોએ તાત્કાલિક નિલેશભાઈ ને સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી
