આરટીઓ પાછળ નરસિંહનગરમાં રહેતાં પરિવારની દિકરી શાળાએ જતી હોય ત્યારે નજીકની શ્રીરામ સોસાયટીમાં રહેતો શખ્સ તેણીનો પીછો કરતો હોઇ આ શખ્સને બાળાના પરિવારજનોએ ઠપકો આપતાં ઝઘડો થયો હોઇ આ બાબતનો ખાર રાખી આ શખ્સે બીજા પાંચ જણા સાથે મંડળી રચી પાઇપ સાથે નરસિંહનગરના ચોકમાં આવી બાળાના માતાને ગાળો દઇ તેમજ તેણીના પિતા, કાકા હાથમાં આવે એટલે પતાવી દેવા છે તેવી ધમકી દઇ ચોકમાં દેકારો મચાવી ભય ફેલાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે આરટીઓ પાસે નરસિંહનગર સોસાયટી-1 રીરામ સોસાયટીની સામે રહેતાં નીશાબેન મનિષભાઇ ચાવડા (ઉ.વ.40)ની ફરિયાદ પરથી શ્રીરામ સોસાયટી-10માં રહેતાં નિર્મળ મહેન્દ્રભાઇ વઘેરા અને પાંચ અજાણ્યા શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
નીશાબેન ચાવડાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને છુટક સફાઇ કામ કરી પરિવારને મદદરૂૂપ થાઉ છું. મારા પતિ છુટક મજૂરી કરે છે. મારે સંતાનમાં ચાર દિકરીઓ છે. અમારી સામેની સોસાયટીમાં રહેતો નિર્મળ વધેરા મારી દિકરી સ્કૂલે જતી હોઇ તેનો પીછો કરતો હોઇ આ બાબતે અમે તેને સમજાવતાં તેણે અમારી સાથે ઝઘડો કર્યો હતો. બે દિવસ પહેલા 19મીએ રાતે પોણા બાર વાગ્યા આસપાસ નિર્મળ અમારી સોસાયટીના મુખ્ય ચોક પાસે આવ્યો હતો અને અમારા ઘર તરફ હાથ બતાવી જોર જોરથી ગાળો બોલતા માંડયો હતો. તેની સાથે બીજા પાંચ અજાણ્યા શખ્સો પણ હતાં. આ પૈકીના બે શખ્સોના હાથમાં પાઇપ હતાં. દેકારો થતાં સોસાયટીના મુક્તાબેન અને બીજા સભ્યો ભેગા થઇ જતાં મુક્તાબેને નિર્મળને જાહેરમાં ગાળો નહિ બોલવા સમજાવતાં નિર્મળે તમારી સાથે મારે કંઇ લેવા દેવા નથી. અમારે તો મનિષ અને સંદિપને સબક શીખવવો છે. તેમ કહી મારા પતિ અને દિયરના નામ લઇ ગાળો બોલવા માંડયો હતો.
આ માથાકુટને પગલે બીજા રહેવાસીઓ ભેગા થઇ જતાં નિર્મળ સહિતના ભાગી ગયા હતાં. જતાં જતાં પણ નિર્મળે ધમકી આપી હતી કે મનિષ અને સંદિપ હાથમાં આવે એટલે મારી જ નાંખવા છે. અગાઉ અમારે નિર્મળ વઘેરા સાથે ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી સોસાયટીમાં અજાણ્યા શખ્સો સાથે મંડળી રચીને આવી ગાળો દઇ ધમકી આપી ભાગી ગયો હતો. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ જે. એમ. ઝાલાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
