શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લુંટ ચલાવનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. મળતી વિગતો મુજબ આજી ડેમ ચોકડી પાસે રહેતો મહંમદઈલ્યાસ મુગલને રિક્ષામાં બેસાડી ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે લઈ જઈ મોબાઈલ અને રોકડ લુંટી લીધી હતી. તેમજ બીજા બનાવમાં મૂળ રાજસ્થાનનો અને હાલ પેડક રોડ બાલક હનુમાન પાસે સીતારામ સોસાયટીમાં રહેતા જશારામ ચીમારામ બેનિવાલ(ઉ.20)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તારીખ.19/11/2025 ના રોજ બપોરના આશરે બે વાગ્યા આસપાસ હુ તથા મારા મોટાબાપુના દીકરો ભાઇ ડાલુરામ તથા મારા ફઇના દીકરા વિશનારામ એમ અમે ત્રણેય જણા ફર્નિચરના કામ માટે નો સામાન ખરીદવા માટે ગોંડલ ચોકડીથી નજીક આવેલ રોનીતભાઇની સહજાનંદ નામની દુકાને જવાનુ હોવાથી ત્યાં જવા માટે નિકળેલ હતા અને બાલક હનુમાનજી મંદિર પેડક રોડ પરથી ચાલી ને ભાવનગર રોડ બાજુ જઇ રહેલ હોય તેવામાં એક રિક્ષા પાછળ થી આવેલ અને તેના ચાલકે પુછેલ કે તમારે કયાં જવાનુ છે તો અમે જણાવેલ કે આજીડેમ ચોકડી બાજુ જવાનું છે તેમ કહેતા રીક્ષામાં બેઠા હતા.આમ આ રીક્ષામાં ચાલક સહિત બે શખ્સો બેઠા હોય આરોપીઓ ભીચરી તરફ રીક્ષા હંકારી લઇ જઇ ચાલક સાથેના શખ્સે ધમકી આપી કે તમારી પાસે જે કાંઈ હોય તે આપી દો તેમ ધમકી આપી સોનાનું પેડન્ટ અને ત્રણ મોબાઈલ સહિત 55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બન્ને બનાવમાં એક જ ટોળકીની સંડોવણી હોય તાલુકા અને કુવાડવા પોલીસ મથકના સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું અને ક્રાઈમ બ્રાંચે રિક્ષા ચાલક સહીત બન્ને શખ્સોને ઝડપી લીધા છે. બન્નેની પુછપરછમાં વધુ ગુનાના ભેદ ખુલવાની શક્યતા છે. બંને આરોપીઓ બીજા કોઈ ગુનામાં સામેલ છે કે કેમ ? તે સહિતના મુદ્દે ક્રાઈમ બ્રાંચે વધુ પુછપરછ શરૂૂ કરી છે.
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી ક્રાઈમ બ્રાંચ એસીપી બી.બી.બસીયામાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ એ.એન. પરમાર, વી.ડી. ડોડીયા, એ.એસ.ગરચર, સી.બી. જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
