શહેરની ભાગોળે આવેલા પરાપીપળીયા ગામે રહેતાં યુવકને મિત્રએ રિસામણે બેઠેલી પત્નીને તેડવા સાથે આવવાનું કહ્યું હતું પરંતુ યુવકે ના પાડતાં મિત્ર સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે રહેતાં વિપુલ સવજીભાઈ કાનાણી નામનો 28 વર્ષનો યુવાન પરાપીપળીયા ગામે બસ સ્ટેશન પાસે હતો ત્યારે મિત્ર જીતુ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર અને ઈજાગ્રસ્ત બન્ને મિત્રો છે. જીતુની પત્ની રિસામણે ચાલી ગઈ છે.
જેથી જીતુએ વિપુલ કાનાણીને ‘તું મારા સસરાના ઘરે મારી સાથે ચાલ’ તેવું કહ્યું હતું. પરંતુ વિપુલ કાનાણીએ ના પાડતાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં થોરાળામાં આવેલી આરાધના સોસાયટીમાં રહેતી ભારતીબેન છગનભાઈ ડાયા નામની 30 વર્ષની પરિણીતાને છોકરા મુદ્દે પતિ સાથે ઝઘડો થયો હતો. જે અંગે માઠુ લાગી આવતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
