ગોંડલના કપુરીયા પરા વિસ્તારમાં મકાન વેચાણના નામે 1 લાખ રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં લોન ચાલુ હોવા છતાં મકાન વેચાણ કરી સુથી પેટે આપેલી રકમ પડાવી લીધી હતી. બેંક દ્વારા મકાનને સીલ મારી દેતા છેતરપીંડીનો ભાંડો ફૂટ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલની નાની બજાર વિસ્તારમાં રહેતા અને નવા માર્કેટ યાર્ડમાં પગી તરીકે ખાનગી નોકરી કરતા 59 વર્ષીય નીતિનભાઈ ભિખાભાઈ વાજા પોતાના પરિવાર માટે મકાન ખરીદવા ઈચ્છતા હતા. આ દરમિયાન તેમને આજુબાજુમાંથી જાણવા મળ્યું હતું કે ગોંડલના કપુરીયાપરામાં રામદેવ પીરના મંદિર પાસે રહેતા આનંદભાઈ વિરેન્દ્રભાઈ ગોહેલ પોતાનું મકાન વેચવા માંગે છે. નીતિનભાઈએ આનંદભાઈનો રૂૂબરૂૂ સંપર્ક સાધ્યો હતો અને બંને વચ્ચે રૂૂપિયા 6,55,000 માં મકાનનો સોદો નક્કી થયો હતો.સોદો નક્કી થયા બાદ ગત તારીખ 16 ઓક્ટોબર 2025 ના રોજ ગોંડલ નવી કોર્ટ પાસે આવેલી નોટરીની દુકાને બપોરના સમયે આ અંગેનો નોટરી કરાર કરવામાં આવ્યો હતો. જેમાં નીતિનભાઈએ સુથી પેટે 1,00,000 આનંદભાઈને આર ટી જી એસ. મારફતે ચૂકવી આપ્યા હતા. આ મકાન આનંદભાઈના પત્ની નયનાબેનના નામે હતું અને તેના પર બેંકની લોન ચાલુ હોવાથી, લોન પૂર્ણ થયા બાદ ત્રણ મહિનામાં મકાનનો કબ્જો અને દસ્તાવેજ કરી આપવાનું નક્કી કરાયું હતું. કરાર મુજબ ત્રણ મહિના બાદ નીતિનભાઈને મકાનનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.
જો કે, થોડા સમય બાદ રાજકોટની આધાર બેંકના અધિકારીઓ દ્વારા આ મકાનને સીલ મારી બંધ કરી દેવામાં આવ્યું હતું. મકાન સીલ થતાં જ નીતિનભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આનંદભાઈએ બેંકની લોન ભરી ન હોવાથી બેંકે આ આકરૂૂં પગલું ભર્યું હતું. જ્યારે નીતિનભાઈએ પોતાની સુથી પેટે આપેલી રકમ પરત માંગી, ત્યારે આનંદભાઈએ ખોટા વાયદાઓ આપી રકમ ચૂકવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આખરે લાંબા સમય સુધી ઘરમેળે સમાધાનના પ્રયાસો ચાલ્યા બાદ તે નિષ્ફળ જતાં, ભોગ બનનારે ન્યાય મેળવવા માટે ગોંડલ સિટી પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
