અમરેલીના ચક્કરગઢ રોડ પર આકાશ કમલેશભાઈ ત્રિવેદી (ઉં. વ. 29 ) નામના યુવાન પર બોટાદના અરવિંદ નામના શખ્સ ઉપરાંત ત્રણ અજાણ્યા શખ્સે હુમલો કર્યાનું કહેવાય છે.
ચારેય શખ્સો કાર લઈને અમરેલી આવ્યા હતા અને આકાશ ત્રિવેદી પનિહારી સોસાયટી પાસે પાનના ગલ્લેથી પરત ફરી રહ્યો હતો. ત્યારે તેના પર લાકડી અને પાઇપ વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. લોકોનો ટોળું એકઠું થઈ જતા ચારેય કારમાં નાસી ગયા હતા. ઘાયલ યુવકને પ્રથમ અમરેલી સિવિલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે રીફર કરાયો હતો.
ઇજાગ્રસ્ત આકાશે અગાઉ અરવિંદની પત્ની સાથે મૈત્રી કરાર કર્યા હતા. 1 માસ પહેલા અરવિંદ તેને પરત લઈ ગયો હતો. પરંતુ તેની પત્ની મારે તારી સાથે રહેવું નથી તેમ કહી માવતરે ચાલી ગઈ હતી. જેનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હતો.
