કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા તા. વાતાવરણનો આનંદ લેતા લેતા ચારેય યુવાનો તળાવમાં ન્હાવા પડયા હતા પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવવાને કારણે ચારેય અચાનક ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યા હતા જે પૈકી ત્રણ યુવાનો બચી ગયા હતા જયારે શંકર નારાયણ નાથ (ઉ.વ. 22) નામના યુવાને જીવ ખોયો હતો.
ગાંધીધામનો શંકર નાથ તથા ચેતન તારાચંદ તંવર, વિક્રમ ગોવિંદ પરિહાર અને અહેમદ અનવર સાયચા નામના મિત્રો આજે ભેગા મળીને શિણાય બાજુ આવ્યા હતા. અને કુદરતી સૌંદર્યની ફોટોગ્રાફી વગેરે કરી રહ્યા હતા. દરમ્યાન ચારેય મિત્રો, ઉકળાટ, ગરમીથી બચવા શિણાયના તળાવમાં ન્હાવા પડયા હતા. પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા અચાનક ચારેય ડુબવા લાગ્યા હતા. આ ચારેય પૈકી અહેમદને તરતા આવડતું હતું જ્યારે અન્ય યુવાનો ડુબવા લાગ્યા હતા.
અહેમદે બાથ ભીડીને ચેતન તથા વિક્રમને બહાર કાઢી લીધા હતા જ્યારે શંકરનનાથ પાણીમાં ગરકાવ થયો હતો. બે મિત્રોને બચાવ્યા બાદ શંકરને બચાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. બનાવની જાણ થતાં વહીવટી તંત્ર, પોલીસ ત્યાં દોડી આવી તરવૈયાઓની મદદથી ડુબેલા યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવને પગલે યુવાનના પરિવારમાં ભારે આક્રંદ અને અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
