અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ સગા ભાઈ અને પુત્ર સામે વડોદરા શહેરના 3 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે ભાજપ વર્તુળમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસમાં હરણી પોલીસે સાવરકુંડલાથી સુરેશ અને મનીષ પાનસુરીયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય પ્રવીણ ભાદાભાઈ પાનસુરીયા, કિશોર ભાદાભાઈ પાનસુરીયા અને રવિ સુરેશભાઈ પાનસુરીયા (પુત્ર)ની શોધખોળ શરૂૂ છે. પાંચેય આરોપી વિરુદ્ધ છેતરપિંડી તેમજ જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી ધરપકડથી બચવા નાસતો ફરતો હતો અને કોર્ટમાંથી પણ તેને કોઈ રાહત મળી ન હતી. અંતે, ચોક્કસ બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યો છે.
વધુમાં ACPએ કહ્યું કે, પોલીસ તપાસમાં વધુ બે ભોગ બનનારા પણ સામે આવ્યા છે, જેમના ₹52 લાખ અને ₹25 લાખ મળીને કુલ આશરે પોણા ચાર કરોડ રૂૂપિયાની છેતરપિંડી આચરાઈ હોવાનું ખુલ્યું છે. આરોપી સુરેશ પાનસુરિયાનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં અગાઉ બાપોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના 3 ગુના તથા અમરેલીમાં 2021માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયેલો છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, જો અન્ય કોઈ વ્યક્તિ પણ આ આરોપી દ્વારા છેતરપિંડીનો ભોગ બની હોય તો તેઓ તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.
વડોદરાના અમિત નગર સર્કલ પાસેની મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા દર્શિતભાઈ કમલેશભાઈ શાહ (ઉં.વ.42)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર, 2023માં સુરેશભાઈએ હરણી સમા લિંક રોડ પર આવેલા ’શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ’ અને ’શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ’ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેમણે 1.5 ટકા માસિક વળતરની શરૂૂઆતમાં અને પછી 2 ટકા વળતરની ખાતરી આપી હતી, તેમજ પ્રોપર્ટીની સિક્યોરિટી આપવાનું કહ્યું હતું. આ વિશ્વાસ પર દર્શિતભાઈ અને તેમના પિતા કમલેશભાઈ શાહે કુલ 3 કરોડ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું.
આ રકમના બદલામાં દર્શિતભાઈ અને તેમના પિતાના નામે કુલ 6 મિલ્કતો (ફ્લેટ અને દુકાનો)ના રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યા હતા. શરૂૂઆતમાં ફેબ્રુઆરી, 2024થી ડિસેમ્બર, 2024 સુધી માસિક 1.5%થી 2% વળતર રોકડ-બેન્ક દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. જાન્યુઆરી, 2025થી વળતર બંધ થઈ ગયું. દર્શિતભાઈએ વારંવાર પૂછપરછ કરતાં રિયલ એસ્ટેટમાં તકલીફનું બહાનું કાઢ્યું હતું અને રૂૂપિયા પરત ચૂકવણીનો ભરોસો આપ્યો હતો, પરંતુ કોઈ રકમ મળી નહીં. દર્શિતભાઈના પિતાને લીવર કેન્સરની બીમારી થતાં સારવાર માટે રકમની જરૂૂર પડી હતી, તો પણ રૂૂપિયા પરત કર્યા ન હતા.
આ દરમિયાન આરોપીઓએ આપેલા ચેકો બેંકમાં બાઉન્સ થયા હતા. સપ્ટેમ્બર, 2025માં ઓફિસમાં મળવા બોલાવી અસભ્ય વર્તન કરીને ધમકી આપી કે, તમને અને તમારા પરિવારને જોઈ લઈશું. તમે પોલીસ ફરિયાદ કરી છે, હવે રૂૂપિયા મળવાના નથી, થાય એ કરી લો. આ દરમિયાન પ્રોજેક્ટમાં બાંધકામ અધૂરું છે અને બાનાખતવાળી મિલકતો પર બેંક લોન લેવાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષનો પુત્ર રવિ વ્યાજખોરોના ત્રાસથી 31 ડિસેમ્બરે રાત્રે સુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો હોવાની પોલીસમાં અરજી થઈ હતી. રવિએ ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11.25 કરોડ રૂૂપિયા વ્યાજે લીધા હતાં. 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂૂપિયા આરટીજીએસથી તેણે ચૂકવ્યા હતાં. વ્યાજખોરોએ માત્ર 2.97 કરોડની સામે 15 કરોડની ઉઘરાણી કરી હતી. વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો વીડિયો વાઇરલ થયો હતો.
