શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની માંગ વધતાં જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 17 ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા છે. આ નમૂનાઓને પરીક્ષણ માટે વડોદરા ખાતેની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી અને રાજકોટની આર.એફ.એલ. લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
પૃથક્કરણ રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ-2006 અને નિયમો-2011 હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસરે શહેરના ફાસ્ટફૂડ સેન્ટર્સ, હોટલ અને રેસ્ટોરન્ટ્સનું ઇન્સ્પેક્શન કર્યું હતું. તેમણે સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવા, હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવવા અને કર્મચારીઓના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા સૂચના આપી હતી. વધુમાં, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા, વાસી ખોરાક ન રાખવા અને મેનુ તથા બોર્ડમાં શાકાહારી ખોરાક માટે ગ્રીન સિમ્બોલ લગાવવા જેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
અગાઉના પરીક્ષણોમાં સત્યમ રોડ પર આવેલ જય ગોપાલ ડેરીમાંથી લેવાયેલ મિક્સ દૂધ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું હતું. તેમની વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગોકુલનગર વિસ્તારમાં આવેલ મહાકાલેશ્વર ડેરીમાંથી લીધેલ દહીં (બુઝ)નો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં તેમને રૂૂ. 20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
રણજીતસાગર રોડ પર કિશાન મસાલા સીઝન સ્ટોરમાંથી લીધેલ હળદર પાઉડર (લુઝ) અનસેફ જાહેર થતાં તેમને રૂૂ. 25,000ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. સુભાષ માર્કેટ વિસ્તારમાં આવેલ ભાનુશાળી મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સમાંથી લેવામાં આવેલ ધાણાજીરું પાઉડર (લુઝ) અનસેફ જાહેર થતાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
