ગેસની નળી લીકેજ થતા આગ લાગ્યાનું અનુમાન
શહેરના ભગવતીપરા વિસ્તારમાં સાડીના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી કારખાનામાં અંદાજિત અડધા લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં શેરી નંબર 22 પાસે આવેલા પિયુષ ટેક્સ્ટાઇલ નામના કારખાનામાં બપોરના સુમારે આગ ભભૂકી ઊઠી હતી.
જેની જાણ થતા બેડીપરા ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ એક ફાયર ફાઈટર સાથે અહીં પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં અહીં સાડી બનાવવા માટેનું રો મટીરીયલ્સ, લાકડાની ડિઝાઇનના ગેસના ચૂલા સહિતનો સામાન સળગી જતા અંદાજિત અડધા લાખનું નુકસાન થયું હતું. આગની આ ઘટના અંગે કારખાનેદાર ઉમેશભાઈ આસરાએ જણાવ્યું હતું કે, બપોરના સુમારે અહીં કામ કરતા ચાર કારીગરો જમવા ગયા હતા દરમિયાન આગ લાગી હતી. ગેસની નળી લીકેજ થવાથી આગ લાગી હોવાની શંકા છે. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી.
