જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં એક મકાનમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેથી દોડધામ થઈ હતી. સ્થાનિક કોર્પોરેટર તેમજ અન્ય આગેવાનો દોડી આવ્યા હતા, અને ફાયર બ્રિગેડની મદદ લઈને આગને કાબુમાં લીધી હતી. આ બનાવની વિગત એવી છે કે જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં સમકિત નામના મકાનમાં રહેતા પરેશભાઈ નામના જૈન યુવાન ના પરિવારના રહેણાક મકાનમાં ગઈકાલે સાંજે 6.30 વાગ્યાના અરસામાં રેફ્રિજરેટરમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, જેને લઈને દોડધામ થઈ હતી.
સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા આશિષ જોશી તથા અન્ય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લીધી હતી. સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી વધુ નુકસાની થતી અટકી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
