ભગવતીપરાની ઘટના : એસિડ પી લેનાર વૃધ્ધને સારવાર માટે ખસેડાયા
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ વિરૂધ્ધ પુત્રવધૂએ જાતીય સંતામણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વૃધ્ધને માઠુ લાગી આવતાં એસિડ અને જવલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃધ્ધને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરા વિસ્તારમાં રહેતાં અલીઅસગરભાઈ ઈબ્રાહીમભાઈ આફ્રીકાવાળા નામના 68 વર્ષના વૃધ્ધ રાત્રીનાં સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે એસીડ અને હાર્પીક પી લીધું હતું. વૃધ્ધને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં અલીઅસગરભાઈની પુત્રવધૂ બતુલબેન અને પુત્ર હુશેન આફ્રિકા હતાં ત્યારે બન્ને ઉપર પોલીસ કેસ થયો હતો. જ્યાં બન્નેની આફ્રિકાની જેલમાં કેદ કરવામાં આવ્યા હતાં. જેમાંથી છુટીને બતુલબેન પરત ભારત આવ્યા હતાં ત્યારે દીયર અને સસરાએ જાતિય સંતામણી કરી હોવાની અને પતિ સહિતના સાસરીયા ત્રાસ આપતાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. પુત્રવધૂનાં આરોપથી માઠુ લાગી આવતાં અલીઅસગરભાઈએ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
