મોરબી જેતપર ઉપવાસ આંદોલનને આજે 15મો દિવસ થઇ ચુક્યો છે અને આજે વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી ઉપવાસ કરી રહેલા નીલેશ પ્રાણજીવનભાઈ અઘારાની તબિયત લથડતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આજે આંદોલનના 15 માં દિવસ પણ ઉપવાસી છાવણીમાં મહિલાઓ, ખેડૂતો સતત પધારી રહ્યા છે અને સમર્થન આપી રહ્યા છે. દરમિયાન ટંકારા-પડધરી ધારાસભ્ય દ્વારા ખેડૂતોની માંગ અંગે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યું હતું ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પત્રમાં જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈનના યોગ્ય વળતરને લઈને ખેડૂતો પીડાઈ રહ્યા છે.
અને પીડાના કારણે ખેડૂતો પોતાના કામ ધંધા મુકીને આંદોલનના માર્ગે ઉતર્યા છે ખેડૂતોની એવી સ્પષ્ટ માંગણી છે કે ટેલીગ્રાફ એક્ટ 1985 કલમ 10 (મ)માં લખેલ છે કે TSP કંપનીએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછું નુકશાન કરવાનું અને થાંભલા અને તાર આવવાથી થતું સંપૂર્ણ નુકશાન ટેલીગ્રાફ ઓથોરીટી (TSP કંપની) એ ચૂકવવાનું. ગુજરાત ઉર્જા વિભાગ દ્વારા ખેડૂત હિતેચ્છુ એવો પરિપત્ર બનાવે જેથી ટેલીગ્રાફ એક્ટ 1885ની કલમ 10 (ઉ) મુજબ સંપૂર્ણ નુકશાની વળતર મળી રહે અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 14-06-2024 અને 21-03-2025ની ગાઈડલાઈનમાં અમુક સુધારા કરીને ઉર્જા વિભાગ પરિપત્ર બનાવે તેમ પત્રમાં જણાવ્યું છે.
ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા છે ઉપવાસ આંદોલનને સતત 15 દિવસ થઇ ગયા છે સરકાર હજુ માંગણીઓ સ્વીકારી નથી અને ખેડૂતો પણ છેલ્લે સુધી લડી લેવાના નિર્ધાર સાથે મેદાને ઉતર્યા છે હવે ગમે ત્યારે મેઘ મહેર વરસે તેવું લાગી રહ્યું છે જેને પગલે જેતપર ઉપવાસ આંદોલન સ્થળે વોટર પ્રૂફ ડોમની કામગીરી શરુ કરી દેવામાં આવી છે ચોમાસું શરુ થયા બાદ પણ આંદોલન ચાલુ રહેશે તેવું ખેડૂતોનો મૂડ જોતા લાગી રહ્યું છે.
