કાળાસરના યુવાનની ગુમ થયા બાદ કોહવાયેલી લાશ મળતા પરિવારનો હોસ્પિટલે હંગામો
યુવકના મોત મામલે ત્રણ શખસોની ધરપકડ
જસદણનાં કાળાસર ગામનાં યુવાનની વીરનગર પાસે લાશ મળી આવ્યા બાદ હત્યાનાં આક્ષેપ સાથે પરીવારજનોએ હોસ્પીટલમા હંગામો મચાવી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઘટનાને લઇને જસદણ, આટકોટ અને રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમ જસદણ સરકારી હોસ્પીટલે દોડી ગઇ હતી. મૃતકનાં પરીવારે હત્યાનો આક્ષેપ કરી ધરણા કર્યા હતા મોડી રાત સુધી આ ઘટનાને લઇને ભારે વિરોધ બાદ અંતે આ ઘટનામા આટકોટ પોલીસમા 3 શખસો વિરુધ્ધ ગુનો નોંધાતા પરીવારે લાશ સ્વીકારી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ આ પ્રકરણમા 3 શખસોની ધરપકડ કરી છે. લાશ સ્વીકારવામા આવતા પોલીસને પણ હાશકારો થયો હતો.
જસદણનાં કાળાસર ગામેથી ગુમ થયેલા લાલજી મકવાણા નામનાં યુવાનની લાશ મળી આવી હતી. કોહવાયેલી લાશ મળી આવતા આ મામલે પરીવારે આક્રોશ સાથે હત્યાનો આક્ષેપ કર્યો હતો. અને મૃતક લાલજીએ વીરનગરનાં 3 શખસો પાસેથી વ્યાજે પૈસા લીધા હોય જેની ઉઘરાણી કરી હતી જેથી ગત ર9 નાં રોજ લાલજીને ફોન આવ્યો હતો . અને પરીવારને ફોન કરી એક ભાઇ ઘરે આવે તેને પ0 હજાર આપવા કહયુ હતુ ત્યારબાદ લાલજીનો ફોન બંધ થઇ ગયો હતો બીજી તરફ લાલજીને મોટર સાયલક પર બે શખસો બેસાડીને લઇ જતા હોવાનાં સીસીટીવી ફુટેઝ રજુ કરી પરીવારે લાશ સંભાળવાનો ઇનકાર કરી હોસ્પીટલે ધરણા પર બેસી ગયા હતા ઘટનાની જાણ થતા ગોંડલ ડીવાયએસપી સાથે એલસીબી, એસઓજી, જસદણ અને આટકોટ પોલીસનો મોટો કાફલો સરકારી હોસ્પીટલે પહોંચ્યો હતો અંતે પરીવારની સાથે વાતચીત અને સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો.
આ મામલે આટકોટ પોલીસમા મૃતકનાં ભાઇ ધર્મેશ ધીરુભાઇ મકવાણાની ફરીયાદને આધારે આલ્કુભાઇ અમૃતભાઇ જેબલીયા, સંજયભાઇ મંગળુભાઇ ભોજક અને સિધ્ધરાજ આલ્કુભાઇ ગીડા સામે ગુનો નોંધવામા આવ્યો હતો ફરીયાદ નોંધાયા બાદ લાલજીનાં પરીવારજનોએ મૃતદેહ સ્વીકારી દીધો હતો. એલસીબીએ આ પ્રકરણમા તાત્કાલીક ત્રણેય આરોપીઓને સકંજામા લીધા હતા. મૃતક લાલજી જેસીબી ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતો હતો. તેનાં મોતથી એકનાં એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
