શહેરના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં રહેતા વૃધ્ધાનું ખાનગી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કર્યા બાદ મોત નીપજ્યુ હતું. પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સ્વામીનારાયણ ચોક પાસે આવેલા નવલનગર શેરી નં.3માં રહેતા રમીલાબેન માધુભાઇ ગોંડલીયા (ઉ.વ.65)નામના વૃધ્ધાને ત્રણ દિવસ પહેલા બેકબોન હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી માટે દાખલ કર્યા હતા. બાદમાં તેમને સ્ટેન્ડ બેસાાડ્યુ હતું દરમિયાન આજે સવાર તેઓ હોસ્પિટલના બીછાને બેભાન થઇ જતા તેમનુ મોત નીપજ્યુ હતું. પરિવારજનો દ્વારા તબીબી બેદરકારીના કારણે મૃત્યુ થયાનો આક્ષેપ કરવામાં આવતા માલવીયાનગર પોલીસે મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાને સંતાનમાં બે પુત્ર હોવાનુ અને તેમના પતિનું એક મહિના પહેલા જ અવસાન થયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
