જસદણ પાસે બાઇક અકસ્માતમાં ગોડલાધારના યુવાનનું મોત
જસદણના ગોડલાધાર ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને માધવીપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ગોડલાધાર ગામે રહેતા મહેશ ઉર્ફે પ્રદીપ કુરજીભાઈ માનકોલીયા નામનો 22 વર્ષનો યુવાન સવારના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને જસદણ અને માધવીપુર ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મહેશ ઉર્ફે પ્રદીપ માનકોલીયાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં જેતપુરમાં રહેતા કુંવરબેન કનાભાઈ વાગડ વાગળીયા નામના 80 વર્ષના વૃદ્ધા સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં શાપરમાં આવેલા આનંદ ગેઇટ પાસે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે શાપર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે, નાનો દીકરો શાપરમાં રહે છે. તેના ઘરે આટો મારવા જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.