રાજકોટ સહતિ રાજયભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ દીન પ્રતિદિન વધુ રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નીપજ્યા હતા. રેલનગરના વૃદ્ધ અને પટેલ કોલોનીમાં રહેતા યુવાનનુ હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં ભકિતપાર્કમાં રહેતા અમૃતલાલ મોરારજીભાઇ ચૌહાણ (ઉ.વ.66)નામના દરજી વૃદ્ધ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેકથી મૃત્યુ થયાનુ જાહેર કર્યું હતુ. મૃતક ત્રણ ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને દરજી કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. પરિવારજનો દ્વારા મૃતક વૃદ્ધનુ ચક્ષુદાન અને સ્કીનદાન કરવામા આવ્યુ હતુ.
જયારે બીજા બનાવમાં માયાણીચોક પાસે આવેલી પટેલ કોલોની શેરીનં.1માં રહેતો શ્યામ દેવેન્દ્રભાઇ પાટીલ (ઉ.વ.32) નામનો યુવાન રાત્રે સુતા બાદ સવારે પરિવારજનો એ ઉઠતા તે ઉઠયો જ ન હતો. જેથી તેની બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા હાર્ટએટેકથી મોત નીપજ્યાનુ જાણવા મળ્યુ હતુ. મૃતક બે ભાઇ એક બહેનમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
