ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર રહેતા મુસ્લિમ પરિવારના મોભી 20 વર્ષ પૂર્વે ગુમ થયા બાદ તેનું હિમાચલ અને ધોરાજી પોલીસની મદદથી પરિવાર સાથે ફરી મિલન થયું છે. પરિવારે મોભી જીવતા નહીં હોવાની આશા છોડી દીધી હતી. આ મામલે ધોરાજી પોલીસ અને હિમાચલ પોલીસની સરાહનીય કામગીરીથી પરિવાર સાથે મોભીનું મિલન થયું હતું.
ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર રાધાનગરમાં રહેતા હારુનભાઈ સુલેમાનભાઈ સેઠા ઉ.વ.62 વર્ષ 2005માં પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા બાદ ગુમ થયા હતાં. ગુમ થનાર હારુનભાઈની શોધખોળ છતાં તેઓનો કોઈ પતો નહીં મળતા પરિવારે તે જીવતા હોવાની આશા છોડી દીધી હતી. દરમિયાન ધોરાજી પોલીસને હિમાચલ પોલીસે હારુનભાઈ હિમાચલમાં હોવાની જાણ કરતા ધોરાજી પોલીસની ટીમ હિમાચલ ગઈ હતી. અને 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા હારુનભાઈને હિમાચલથી ધોરાજી લાવી પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જિલ્લાપોલીસ વડા હિમકરસિંહની સુચનાથી પીઆઈ આર.જે. ગોધમ સાથે પીએસઆઈ પી.કે. ગોહિલ, નિલેશભાઈ મકવાણા, પંકજભાઈ તલસાણિયા, શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
