દ્વારકામાં આજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. મેધપરના 85 વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા, જ્યાં તેઓ ભારે કરંટને કારણે તણાઈ ગયા હતા.
જૂનથી ઓગસ્ટ દરમિયાન દ્વારકા પંથકના દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજા જોવા મળે છે. ગોમતી નદી દરિયા સાથે જોડાયેલી હોવાથી આ તોફાની પરિસ્થિતિની અસર નદીના પાણીમાં પણ જોવા મળે છે. બહારગામથી આવતા યાત્રિકોને આ સ્થિતિની જાણકારી ન હોવા છતાં, પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનો મહિમા હોવાથી તેઓ સ્નાન કરવા જાય છે.
ઘટના બાદ ઘાટ પર હાજર પોલીસકર્મીઓ અને સ્થાનિક તરવૈયાઓએ વૃદ્ધને નદીમાંથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂૂ કરી, પરંતુ સારવાર અસરકારક થાય તે પહેલાં જ વૃદ્ધના શ્વાસ થંભી ગયા હતા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે.
