ભારે કરી, સુરતના પરિવારે પૂજાની સામગ્રી સાથે બે લાખ રોકડા કેનાલમાં પધરાવી દીધા

સુરતના પુણા વિસ્તારમાં એક પરિવારે ભૂલથી પૂજાની સામગ્રી સાથે લાખોની રોકડ કેનાલમાં પધરાવી દીધી હતી, જે સુરત ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ શોધી આપી…

સુરતના પુણા વિસ્તારમાં એક પરિવારે ભૂલથી પૂજાની સામગ્રી સાથે લાખોની રોકડ કેનાલમાં પધરાવી દીધી હતી, જે સુરત ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ શોધી આપી છે.

પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારે ધાર્મિક વિધિ બાદ વધેલી પૂજાની સામગ્રી કેનાલમાં પધરાવવાનું નક્કી કર્યું હતું. જોકે, અજાણતામાં આ સામગ્રીની સાથે ₹2 લાખની રોકડ પણ કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. જ્યારે પરિવારને પોતાની મોટી ભૂલનો અહેસાસ થયો, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ધોરણે આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલના વહેતા પાણીમાં ₹500 ના દરની નોટોના 4 બંડલ (કુલ ₹2 લાખ) શોધવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. તેમ છતાં, ફાયરના જવાનો પાણીમાં ઉતર્યા હતા અને ઝીણવટભરી શોધખોળ હાથ ધરી હતી. અંતે, જવાનોને ચારેય બંડલ સલામત રીતે મળી આવ્યા હતા.

આ સર્ચ ઓપરેશન દરમિયાન કેનાલમાં પડેલા કાચના ટુકડા વાગવાને કારણે ફાયર બ્રિગેડના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આમ છતાં, તેમણે પોતાની કામગીરી ચાલુ રાખી હતી અને પરિવારની જીવનભરની કમાણી જેવી રકમ પરત અપાવી હતી. પોતાની ભૂલ સુધારી આપવા બદલ અને જોખમ ખેડીને નાણાં પરત અપાવવા બદલ પરિવારે ગળગળા થઈને ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *