જામનગરના રહેવાસી અને ભારતીય સેનામાં ફરજ બજાવતા દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ’ઓપરેશન સિંદૂર’ દરમિયાન અદમ્ય શૌર્ય પ્રદર્શિત કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને મિસાઈલ દ્વારા ધ્વસ્ત કર્યા હતા.
દિનેશભાઈ, જે 12મી બટાલિયન ધ ગ્રેનેડિયન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવે છે, તેઓને આતંકવાદીઓ ના ઠેકાણા પર મિસાઈલ હુમલો કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. સતત ગોળીબાર અને બોમ્બમારા વચ્ચે પણ, તેમણે એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલની મદદથી નિર્ધારિત લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું હતું.
તેમના આ સાહસિક કાર્યથી દુશ્મનની ક્ષમતાઓને મોટો ફટકો પડ્યો હતો, અને તેમની બધી યોજનાઓ નિષ્ફળ બની હતી. આ કાર્યવાહી સુરક્ષા દળો માટે એક મહત્વપૂર્ણ સફળતા હતી.
દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને તેમની બહાદુરી, કાર્યક્ષમતા અને સંગઠન પ્રત્યેની અતૂટ નિષ્ઠા બદલ આર્મી ડે નિમિત્તે જયપુર ખાતે સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ મૂળ ખંભાળિયા તાલુકાના માધુપુર ગામના વતની છે, અને તેમની આ સિદ્ધિથી હાલાર પ્રદેશનું ગૌરવ પણ વધ્યું છે.
