સામૂહિક પિતૃ તર્પણ, બ્રહ્મ ચોર્યાસી, સાધુ સમાજની દીકરીઓના સમૂહલગ્ન અને લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા
યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પીંડારા તીર્થક્ષેત્ર ખાતે સમસ્ત આહિર સમાજ દ્વારા નવ દિવસીય ધર્મ મહોત્સવનું આયોજન કરાયું છે.
મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજીક એકતા, સંસ્કૃતિના સંવર્ધન અને સમાજની શક્તિનું પ્રતિકરૂૂપ બની રહે તેવા ઉદ્દેશ છે. તાજેતરમાં યોજાયેલી આહીરાણી મહારાસની સફળતા બાદ આ મહોત્સવ સમગ્ર ગુજરાતભરના આહિર સમાજને એકત્રિત કરનાર વિશાળ ધાર્મિક પ્રસંગ બન્યો છે. તા.29 થી 6 એપ્રિલ સુધી આયોજિત મહોત્સવનો પ્રારંભ દ્વારકાના જગતમંદિર તથા નાગેશ્વર જ્યોતિલિંગના પવિત્ર મંદિર શિખરો પર નૂતન ધ્વજારોહણ સાથે થયો હતો. પાવન અવસરે પીંડારા ખાતે વિખ્યાત શિવ કથાકાર ગીરીબાપુના શ્રીમુખે શિવમહાપુરાણની 835મી કથા દરરોજ બે સત્રોમાં ભવ્ય રીતે યોજાઈ છે.
પીંડારા તીર્થ પિતૃતર્પણ માટે અતિ પવિત્ર અને પૌરાણિક મહત્વ ધરાવતું સ્થાન હોવાથી નવ દિવસ દરમિયાન સમગ્ર આહિર સમાજના લાભાર્થ વિનામૂલ્યે પિતૃતર્પણવિધિનું આયોજન છે. ઉપરાંત સર્વજગતના કલ્યાણ અને વિશ્વશાંતિ માટે મહાવિષ્ણુ યાગ, શ્રીમદ્ ભાગવતના પાઠનું આયોજન છે.દરરોજ અંદાજે દોઢથી બે લાખ જેટલા ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને ભોજન, નિવાસ, પાણી,પાર્કિંગ અને આરોગ્ય જેવી તમામ સુવિધાઓનું આયોજન છે.
મહર્ષિ દુર્વાસામુનિના આશ્રમ સ્થળે યોજાએલ આ મહોત્સવમાં બ્રહ્મચોર્યાસીનું આયોજન છે. સાથે સાથે સાધુ સમાજની આશરે 15 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરીને સામાજીક સેવા અને સંસ્કારનું ઉદાહરણ કરીને સામાજીક સેવા અને સંસ્કારનું ઉદાહરણ પુરુ પાડયું છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં તા.30 માર્ચ અને 2 એપ્રિલે ભવ્ય લોકડાયરા યોજાયા હતા, જેમાં રાજભા ગઢવી, બીરજુ બારોટ વગેરેએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.આજે તા.5 એપ્રિલે સાંજે ભવ્ય મહારાસની ઝાંખી યોજાશે.
