કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ આવાસ યોજનાના કવાર્ટરના અગીયારમા માળેથી પટકાતા નિવૃત આર્મીમેનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
વધુ વિગત મુજબ, ઇસ્કોન મંદિરની પાછળ આવેલા આવાસ યોજનાના કવાર્ટરના અગીયારમા માળે રહેતા નિવૃત આર્મીમેન અશ્વીનભાઇ રામજીભાઇ સાવલીયા (ઉ.વ. 40) ગઇકાલે પોતાના કવાર્ટરમાં ગેલેરીની પાળી પર બેઠા હતા ત્યારે અચાનક પડી જતા કવાર્ટરમાં રહેતા લોકો એકઠા થઇ ગયા હતા. અશ્વીનભાઇને માથા તથા શરીરે ઇજા થઇ હોઇ કોઇએ જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા નિવૃત આર્મીમેનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસના પી.એસ.આઇ. ડી. બી. કારેથા તથા રાઇટર કિર્તેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક નિવૃત આર્મીમેન નવી કોર્ટમાં પ્યુન તરીકે નોકરી કરતા હતા.એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોધ વ્યાપી ગયો છે.
