વિછીયાના આકડીયા ગામે તળાવની પાળે બેસવાની ના પાડ્યાનો ખાર રાખી દંપતી ઉપર કુહાડી, પાઈપ અને લાકડી વડે હુમલો કરવાના કેસમાં છ આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વિછીયા તાલુકાના આંકડિયા ગામે રહેતા ફરિયાદી વીરસંગભાઈ ટભાભાઈ સોલંકી અને તેમના પત્ની સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં વાડીએથી તેમના ગામના તળાવની નીચે ઓગનમાં ભેસોને પાણી પાતા હતા તે વખતે નનકાભાઈ કાથડભાઈ ધાધલ તથા પ્રદીપભાઈ નનકાભાઈ ધાધલ તથા જયરાજભાઇ વલકુભાઈ ધાંધલ, રવિરાજભાઈ બાબભાઈ ધાંધલ બોલેરો કારમાં અને મંગળુભાઈ આપાભાઈ કરપડા તથા રાવતભાઇ આપાભાઈ કરપડા બાઈક લઈને ધસી આવ્યા હતા.
અને અગાઉ તળાવની પાળે બેસવાની ના પાડયાનો ખાર રાખી દંપતી ઉપર કુહાડી, પાઇપ અને લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં છોડાવવા વચ્ચે પડેલા વીરસંગભાઈ સોલંકીના ભાઈ કરસનભાઈ અને ભાભી શોભાબેનને પણ માર માર્યો હતો. હુમલાખોર શખ્સો વિરુદ્ધ વિછીયા પોલીસ સ્ટેશનમા ફરિયાદી નોંધવામાં આવી હતી. પોલીસે હુમલાખોર શળહસોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
જેલ હવાલે રહેલા છ આરોપીએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત્ત થવા રાજકોટ સેસન્સ કોર્ટમા અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઇ સેસન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીને જામીન મુક્ત્ત કરવા હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટના સાહિસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, મીતેશ એચ. ચાનપુરા અને પ્રહલાદસીંહ બી. ઝાલા રોકાયા હતા.
