રાજકોટના મનહરપુરમાં પત્નીને ભગાડી ગયો હોવાની શંકાનો ખાર રાખી હેર કટિંગ દુકાન પાસે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશના ચાર વર્ષ પહેલાના કેસમાં સેશન્સ અદાલતે બે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં સમાવિષ્ટ થયેલ મનહરપુર-2 માં રહી અભ્યાસ અને મજુરીકામ કરતો યુવાન મયુર ઉર્ફે લાલો ધરજીયા વર્ષ 2021ના એપ્રિલ મહીનાના એક દિવસે સાધના હેર આર્ટ દુકાને વાળ કપાવતો હતો, ત્યારે અલ્તાફ ઉર્ફે ભયો ઇકબાલભાઈ બેલીમ અને તેનો બનેવી રોહિત ઉર્ફે ટકોએ ‘તું મારી ઘરવાળીને અગાઉ એકાદ મહીના પહેલા લઈ ગયેલ હતો અને તે પાછી મારા ઘરે આવી ગયેલ હતી, આ મારી ઘરવાળી આજથી બે મહીના પહેલા મારા ઘરેથી જતી રહેલ હતી અને તે કયાં છે તે તને ખબર છે તેમ કહેતાં મયુર ધરજીયાએ ‘હું તારી ઘરવાળીને ભગાડી ગયેલ નહોતો, તારા સાસુના કહેવાથી હું તારી ઘરવાળીને જામનગર તેના ફઈના ઘરે મુકવા ગયેલ હતોસ્ત્રસ્ત્ર તેમ કહેતાં અલ્તાફ ઉર્ફે ભયો બેલીમ તથા તેનો બનેવી રોહિત ઉર્ફે ટકોએ એકદમ ઉશ્કેરાઈ મયુર ધરજીયાને છરીના ઘા ઝીંકી દીધા હતા. મયુરે ધરજીયાએ અલ્તાફ ઉર્ફે ભયો અને તેના બનેવી રોહિત ઉર્ફે ટકા સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજુઆત બાદ બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીને હત્યાની કોશિષના ગુનામાં નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે.
જે કેસમાં આરોપી વતી ખ્યાતનામ ધારાશાસ્ત્રી અશ્વિનભાઈ ગોસાઈ, ચિત્રાંક એસ. વ્યાસ, નેહા પી. રાવલ, રવિ મૂલીયા, કશ્યપ ઠાકર, બીનાબેન પતેલ, રાજુભાઈ ગોસ્વામી, અભી કામલીયા, ભાવિનભાઈ રુધાની, સાગર પ્રજાપતિ, સચિન ગોસ્વામી, રીનાબેન સરના, યસ ભીંડોરા, વૈશાલી ચાવડા, પ્રશાંત શુક્લા, ધનરાજસિંહ જાડેજા અને આકાશ મેવાડા રોકાયા હતા.
