ઘર બાંધકામ અને સજાવટ ખર્ચમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને મોટો ફાયદો, રિયલ એસ્ટેટમાં દિવાળીએ તેજી દેખાવાની શકયતા
ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં બાંધકામ ઉદ્યોગને મોટો રાહત આપતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બાંધકામ સામગ્રી જેવી કે સિમેન્ટ, ગ્રેનાઈટ, મારબલ, બેલા અને લાકડાના ફર્નિચર પર GST દરમાં 7 થી 10 ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવી છે. આ નિર્ણયથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરને મોટો ફાયદો થવાની આશા છે, જેનાથી ઘરના ખર્ચમાં ઘટાડો થશે અને ગ્રાહકો માટે આવાસની સુલભતા વધશે.
સિમેન્ટ પર GST દર 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. બાંધકામ ખર્ચમાં સિમેન્ટનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ હોવાથી, આ ઘટાડાથી ડેવલપર્સના ખર્ચમાં નોંધપાત્ર રાહત મળશે, જેનો લાભ ગ્રાહકોને પણ મળશે. ગ્રેનાઈટ અને મારબલ બ્લોક્સ પર GST દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આ ઘટાડો બાંધકામમાં વપરાતી ફિનિશિંગ સામગ્રીની કિંમતો ઘટાડશે. સેન્ડ-લાઈમ બ્રિક્સ અને બેલા પર પણ GST દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જેનાથી બાંધકામના માળખાકીય ખર્ચમાં રાહત મળશે. લાકડાના ફર્નિચર પર GST દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી ફર્નિચર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને ગ્રાહકો માટે આવાસની સજાવટનો ખર્ચ ઘટશે. આ નિર્ણયને રિયલ એસ્ટેટ ઉદ્યોગે ‘ગેમ-ચેન્જર’ ગણાવ્યો છે.
NAREDCO નેશનલના ચેરમેન નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું, આ GST રાહત બાંધકામ ઉદ્યોગ માટે દિવાળીની ભેટ છે. આનાથી ન માત્ર ડેવલપર્સનો ખર્ચ ઘટશે, પરંતુ ગ્રાહકોને પણ સસ્તા ભાવે ઘર મળશે. આ નિર્ણય ભારતના આર્થિક વિકાસને 8%થી વધુ ગતિએ આગળ લઈ જશે. ત્રેહન ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર સરંશ ત્રેહનએ કહ્યું, સિમેન્ટ અને અન્ય બાંધકામ સામગ્રી પર GST ઘટાડવાથી ડેવલપર્સને નાણાકીય દબાણમાંથી રાહત મળશે, જેનાથી પ્રોજેક્ટની ઝડપી અમલવારી શક્ય બનશે. આ રાહત ગ્રાહકોને સસ્તા ભાવે આવાસ પૂરું પાડવામાં મદદ કરશે.
આ નિર્ણયથી બાંધકામ ખર્ચમાં ઘટાડો થવાથી ઘરના ભાવમાં સ્થિરતા આવશે, જેનાથી ખાસ કરીને મધ્યમ અને નીચલા આવકના વર્ગના લોકોને ફાયદો થશે. આ ઉપરાંત, આ નિર્ણયથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા પ્રોજેક્ટની શરૂૂઆતને પ્રોત્સાહન મળશે, જે રોજગારીની તકોમાં વધારો કરશે અને આર્થિક વિકાસને ગતિ આપશે. GST કાઉન્સિલના આ નિર્ણયથી બાંધકામ ઉદ્યોગને નવું પ્રોત્સાહન મળશે અને ગ્રાહકોને સસ્તા ભાવે આવાસની સુવિધા મળશે. આ નિર્ણયથી ભારતના ‘હાઉસિંગ ફોર ઓલ’ના સપનાને વધુ ગતિ મળશે અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.

