આયુર્વેદમાં અભ્યાસ કરીને બનેલા તબીબો જરૂૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તેના માટે થયેલી રજૂઆતાન સંદર્ભમાં આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે વિચારણ કરવા બેઠકનું આયોજન કરાયું છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના મતે આયુર્વેદના ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ આપવી યોગ્ય નથી અને તેનાથી ગુજરાતના દર્દીઓનું સ્વાસ્થ્ય જોખમાઇ શકે છે.
તાજેતરમાં અમદાવાદના એક અરજદાર દ્વારા આરોગ્ય વિભાગ સમક્ષ એવી અરજી કરવામાં આવી હતી. જેમાં આયુર્વેદમાં અભ્યાસ કરી બનેલા તબીબોને જરૂૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તે માટે વિચારણા થવી જોઈએ. જેના સંદર્ભમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ દ્વારા આગામી ત્રીજી જાન્યુઆરીના એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અરજદારને પણ ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યાનુસાર, આ પ્રકારની ગેરમાન્ય પ્રેક્ટિસ તાકીદે અટકાવવામાં નહીં આવે તો તેનાથી સ્વાસ્થ્યક્ષેત્ર ભારે સંકટ હેઠળ મૂકાઈ જશે. એલોપેથીની ડિગ્રી ના હોય તેવા તબીબને એલોપેથીની પ્રેક્ટિસની છૂટ આપવાથી ખોટા નિદાન-અયોગ્ય સારવારથી દર્દીઓને ભારે આડઅસર, કાયમી ખોટ કે મૃત્યુ સહિતના જોખમની સંભાવના રહેલી છે. એટલું જ નહીં તબીબી વ્યવસ્થા સામે પણ લોકોનો વિશ્વાસ તૂટી શકે છે. એલોપેથીની ક્વોલિફિકેશન નહીં ધરાવનારાને એલોપેથીની પ્રેક્ટિસ નહીં કરવા દેવા સામે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ અનેક ચૂકાદા આપેલા છે.
