રાજકોટ શહેરમા રૈયાધારે આવેલા ઇન્દીરાનગરમા રહેતી પરણીતાને તેમના પતિએ જમવાનુ બનાવવા મામલે માથાકુટ પ્લાસ્ટીક પાઇપ વડે બેફામ માર મારતા યુનિવર્સિટી પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ મામલે પતિ વિરૂધ્ધ ત્રાસ અને માર માર્યાની કલમ હેઠળ કાર્યવાહી કરાઇ હતી.
વધુ વિગતો મુજબ હાલ ઉપલેટાના ખારચીયા ગામે માવતરે રહેતી અને રાજકોટના રૈયાધારે ઇન્દીરાનગરમા સાસરુ ધરાવતી શિલ્પાબેન વિજયભાઇ દાફડા નામની પરણીતાએ તેમના પતિ વિરૂધ્ધ ત્રાસ અને માર માર્યાની યુનિવર્સિટી પોલીસમા ફરીયાદ નોંધાવી છે. શિલ્પાબેને જણાવ્યુ હતુ કે તેમના લગ્ન 1પ વર્ષ પહેલા વિજય સાથે થયા હતા. તેમને સંતાનમા બે દિકરી અને 1 દિકરો છે. પતિ કલરકામની મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તા 5 ના રોજ રાત્રીના સમયે અગ્યારેક વાગ્યે શિલ્પાબેન રાજકોટમા પોતાના સાસરે હતા ત્યારે પતિ વિજય ગાળો બોલી તને જમવાનુ બનાવતા આવડતુ નથી તેમ કહી પ્લાસ્ટીકના પાઇપ વડે બેફામ માર માર્યો હતો.
જેથી શિલ્પાબેને 181 મા કોલ કરતા મહીલા હેલ્પલાઇન વાળા ઘરે આવ્યા હતા અને ત્યાથી તેમને મુંજકા પોલીસ સ્ટેશન લઇ જતા પતિ વિરૂધ્ધ શિલ્પાબેને અરજી કરી હતી ત્યારબાદ પોલીસ સ્ટાફ શિલ્પાબેનને બસ સ્ટેશને મુકી ગયા હતા અને શિલ્પાબેન ત્યાથી તેમના માવતરે ઉપલેટાના ખારચીયા ગામે પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે પતિએ માર માર્યો હોય જેથી તેમની સારવાર માટે ભાયાવદર સરકારી હોસ્પીટલમા સારવાર લીધી હતી. આ મામલે યુનિવર્સિટીના સ્ટાફે શિલ્પાબેનની ફરીયાદ લઇ પતિ વિરૂધ્ધ ત્રાસની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.
