મોરબીમાં આમ આદમી પાર્ટીના જ એક પૂર્વ કાર્યકર દ્વારા પક્ષના જ અન્ય કાર્યકર અને હોદ્દેદારો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. મોરબીના જેલ રોડ વિસ્તારમાં રહેતા અને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા ભગવાનજીભાઈ સાવરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, “Gopal Patel’ નામની ફેક ફેસબુક આઈડી બનાવી આરોપીએ તેમને અને તેમના સાથીદારોને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી બિભત્સ ગાળો ભાંડી છે. આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે એટ્રોસિટી એક્ટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ તપાસ કરતા આ ફેક આઈડી પાછળ આમ આદમી પાર્ટીના જ પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંત માવજીભાઈ વિરમગામાનો હાથ હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીએ જાણી જોઈને પોતાની ઓળખ છુપાવવા ફેક પ્રોફાઈલ બનાવી હતી અને તે દ્વારા ભગવાનજીભાઈની જાતિ પ્રત્યે અત્યંત વાંધાજનક પોસ્ટ કરી જાહેરમાં અપમાનિત કર્યા હતા. આ ઉપરાંત, આ ફેક આઈડી દ્વારા પક્ષના અન્ય આગેવાનો જેવા કે પંકજભાઈ રાણસરિયા, પરિમલ કૈલા અને યશ સોજીત્રા વિરુદ્ધ પણ ગંદી અને અંગત ચારિત્ર્યલક્ષી કોમેન્ટો કરવામાં આવી હોવાનું ફરિયાદી એ જણાવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
