જામનગર ની એક શિપિંગ કંપનીના ભાગીદારે સીટી સી. ડિવિઝન પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે, અને તેના જ ભાગીદાર સામે રૂૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી કરી હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. જામનગરમાં સરૂશેક્શન રોડ પર અંબા વિજય સોસાયટીમાં રહેતા અને વરુણ શિપિંગ ફર્મ નામની ભાગીદારી પેઢી ચલાવતા રાકેશભાઈ મણીલાલભાઈ બારાઈ નામના વેપારીએ પોતાના જ ભાગીદાર વિજય મનોહરલાલ નારંગ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
બંને ભાગીદારો દ્વારા બેંકના વ્યવહાર કરવામાં આવતા હતા, જેની તમામ જવાબદારી આરોપી વિજય નારંગ સંભાળતા હતા, અને ફરિયાદી કે જેઓનો હોટલનો પણ વ્યવસાય હોવાથી તેઓને વધારે પડતા અમદાવાદ, મુંબઈ સહિતના શહેરોમાં જવાનું થતું હોવાથી તેઓની ગેરહાજરીમાં વિજય નારંગે પોતાના જ કર્મચારી અથવા તો તેના મળતીયાઓ એવા બે વ્યક્તિ કલ્પેશ મનસુખભાઈ જડિયા તેમજ પૂજાબેન કલ્પેશભાઈ જડિયા કે તેઓના બેન્ક ખાતા ખોલાવી અને તેમાં કુલ 6,69,14,605ની રકમ જમા કરાવ્યા પછી બારોબાર ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જે રકમની ઉઘરાણી કરવા જતાં ભાગીદારે ધાકધમકી આપી હોવાથી આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે મામલે પી.આઈ. એન. બી. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
