લક્ષ્મીવાડીમાં રહેતા વૃદ્ધ લૌકિકે જતા હતા ત્યારે બનેલો બનાવ
શહેરમાં બેફામ બનેલા સિટીબસના ચાલકો અવાર નવાર અકસ્માત સર્જતા રહે છે. ઇન્દીરા સર્કલ પાસે સિટીબસની ઠોકરે 4લોકોના મોત નીપજ્યા હતા. આમ છતા હજૂ પણ સિટીબસ ચાલકો સુધર્યા ન હોય તેમ અકસ્માતોનો સીલસીલો યથાવત છે. આજે રેસકર્ષ રીંગરોડ પર સિટીબસનો ચાલક સ્કૂટર સવાર વૃદ્ધને ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ લક્ષ્મીવાડીમાં બ્લોક નં.23/183માં રહેતા લાભશંકરભાઇ વાલજીભાઇ ધાધીયા (ઉ.વ.83)નામના વૃદ્ધ આજે બપોરે પોતાનુ સ્કૂટર લઇ જતા હતા ત્યારે રેસકોર્ષ રીંગરોડ પર ગેલેકસી એપાર્ટમેન્ટ સામે પહોંચતા પૂરપાટ ઝડપે આવતી સિટીબસના ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જયારે અકસ્માત બાદ સિટીબસનો ચાલક બસ થોભાવવાને બદલે બસ હંકારી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં વૃદ્ધ હાલ નિવૃત જીવન જીવતા હોય શ્રોફરોડ પર રહેતા તેના સાળાના પત્ની રાણુબેન શાંતિભાઇનુ અવસાન થયુ હોવાથી સ્કુટર લઇ લૌકિકના કામે જઇ રહ્યા હતા ત્યારે સિટીબસના ચાલકે સ્કૂટરને ઉલાળતા અકસ્માતા સર્જાયો હતો. આ અંગે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
